રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પરથી રાજીનામું આપ્યાં અંદાજે બે મહિના જેટલો સમય થઇ ગયો પરંતુ હજુ સુધી પાર્ટી કોંગ્રેસ કાર્યકારિણી સમિતિ (CWC)ની બેઠક યોજી તેમના રાજીનામાં પર કોઇ નિર્ણય લઇ શકી નથી.
જો કે હવે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીના અમેરિકાથી પરત ફર્યા બાદ CWCની બેઠક માટે તારીખ નક્કી કરવામાં આવશે. એક મળતાં અહેવાલ મુજબ રાહુલ ગાંધી 27 જૂલાઇના રોજ ભારત પરત ફરે તેવી શક્યતા છે.
25 મેના રોજ મળેલી CWCની બેઠકમાં રાજીનામાંની રજૂઆત કર્યા બાદ રાહુલ ગાંધીએ 3 જૂલાઇના રોજ બીજી વખત સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ નથી અને પાર્ટી તેની જગ્યાએ નવો અધ્યક્ષ નિમણૂંક કરે. રાહુલ ગાંધીએ CWCને જલ્દી બેઠક બોલાવા અંગે પણ જણાવ્યું હતું.
જો કે ત્યારબાદ પાર્ટીના કેટલાંક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને મનાવવા પ્રયત્ન પણ કર્યાં અને કેટલાંક નામ પણ ચર્ચામાં આવ્યાં પરંતુ CWCની બેઠકની તારીખ નક્કી ન થઇ અને ઉત્તરાધિકારીની પસંદગીને લઇને પણ કોઇ નિર્ણય ન લઇ શકાયો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે બધુ CWCએ નક્કી કરવાનું, પરંતુ આ બેઠક ક્યારે થશે તે અંગે કોઇ જાણતું નથી. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધી હાલ વિદેશપ્રવાસે છે ત્યારે તેઓ ભારત પરત આવતાં CWCની બેઠક યોજાઇ શકે છે.
કોંગ્રેસના નવા અધ્યક્ષના નામ પર મહોર તેમજ તેની પસંદગીને લઇને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત આવનારા દિવસોમાં કરાય તેવી સંભાવના છે. હાલમાં કેસી વેણુગોપાલ પાર્ટીના બધા મામલાઓ જોઇ રહ્યાં છે.