કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે. કોરોના કાળમાં ઈતિહાસમાં પહેલીવાર આવા સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહ માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
સમારોહમાં ગયા વર્ષે દસ હજાર લોકો સામેલ થયા હતા
આ વર્ષે બાળકો સામેલ નહીં થાય
1500 કોરોના ફાઈટરને પણ સામેલ કરવામાં આવશે
પહેલીવાર થશે આવું આયોજન
કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારતમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ શકતા નથી એવામાં ઈતિહાસમાં પહેલીવાર અલગ રીતે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષની તુલનામાં માત્ર 20 ટકા વીવીઆઈપી જ ત્યાં ઉપસ્થિત રહેશે બાકીના લોકો લાઈવ ભાષણ સાંભળશે.
સૂત્રો દ્વારા મળતી માહિતીઓ અનુસાર આ વર્ષે સ્વતંત્રતા દિવસના સમારોહમાં મૂળભૂત ફેરફારો કરવામાં આવશે. સમારોહમાં કોઈ બાળક સામેલ થશે નહીં. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ રક્ષા સચિવ અજય કુમારે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તેમણે સોશિયલ ડીસ્ટન્સ માટેના નિર્દેશ આપ્યા છે.
બેઠકવ્યવસ્થામાં ફેરફાર
આ વર્ષે લાલકિલ્લાના અગ્રભાગની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવશે. પહેલા લાલકિલ્લાના અગ્રભાગમાં 900 લોકો બેસતા હતા હવે નીચલા સ્તર પર માત્ર 100 લોકોને જ બેસવાની મંજૂરી આપવામાં આવશે.
કોરોના સામે જીતનાર લોકો સામેલ થશે
આ સિવાય આ સમારોહમાં 1500 લોકો એવા સામેલ થશે જેમણે કોરોના વાયરસ સામે જંગ જીતી છે જેમાંથી 500 સ્થાનિક પોલીસ અને અન્ય એક હજાર વ્યક્તિ દેશના ખૂણેખૂણેથી સામેલ થશે. હાલમાં જ રક્ષા મંત્રાલયમાં થયેલ એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ ગૃહમંત્રાલયની યોજના અનુસાર તેના પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગયા વર્ષે આશરે દસ હજાર લોકો સમારોહમાં સામેલ થયા હતા.