અમદાવાદમાં વધતા જતા કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના લગભગ 55 ટકા કેસ માત્ર અમદાવાદમાં છે જ્યારે હવે સરકારે કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. જો કે, જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે બપોરે 1 થી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓને છૂટ આપવામાં આવશે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત
દાણીલીમડા અને કોટ વિસ્તારમાં આવતીકાલથી કર્ફ્યૂ
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવતીકાલથી કર્ફ્યૂ લાદવાનો મોટો નિર્ણય CM દ્વારા લેવાયો છે. આ કર્ફ્યૂ દરમ્યાન પેરામિલિટ્રી કોટ વિસ્તારમાં તૈનાત કરાશે. આ કર્ફ્યૂ આવતીકાલથી 21 એપ્રિલ સુધી રહેશે તેમ માહિતી મળી રહી છે. કોટ વિસ્તાર સિવાય દાણીલીમડામાં પણ કર્ફ્યૂ લાદવામાં આવશે.
આ સમય દરમ્યાન મળશે છૂટ
અમદાવાદના કોટ વિસ્તારમાં આવતીકાલ એટલે 15 એપ્રિલથી સવારે 6.00 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડશે જે 21 એપ્રિલ સુધી રહેશે. આ દરમ્યાન જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે બપોરે 1 વાગ્યીથી 4 વાગ્યા સુધી એમ ત્રણ કલાક છૂટ મળશે. તેમાં પણ માત્ર મહિલાને બહાર નીકળવા દેવામાં આવશે. પુરુષોને ઘરની બહાર નીકળવા સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.
શા માટે લેવાયો નિર્ણય
અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોના કેસ વધ્યા છે ત્યારે તંત્ર અને મેડિકલ સ્ટાફ કામગીરી ઝડપથી અને વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવે છે. આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને યોગ્ય કામગીરી કરી શકવામાં મદદ મળશે તે માટે ખાસ કરીને આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદના 55 ટકા કેસ આ વિસ્તારના
મહત્વનું છે કે અમદાવાદના કોટ વિસ્તારમાં દરિયાપુર, દાણીલીમડા, જમાલપુર જેવા કોટવિસ્તારમાં મોટાભાગના કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. જેના પગલે અહીંથી સંક્રમણ અટકાવવા માટે તંત્રએ આ નિર્ણય લીધો છે.
બપોરે CM રૂપાણીએ કોંગ્રેસના 3 MLA સાથે બેઠક કરી હતી
કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.
રાજ્યમાં કુલ 622 કેસ જે પૈકી અમદાવાદમાં 351 કેસ
આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં આ લખાય છે ત્યાં સુધી કુલ 622 કેસ છે જેમાંથી માત્ર અમદાવાદમાં 351 કેસ નોંધાયા છે. જેમાંથી 13ના મોત થયા છે અને 12 અત્યાર સુધી સાજા થયા છે.
મ્યુ. કમિશ્નરે આજે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
આજે અમદાવાદમાં નવા 31 કેસ નોંધાયા છે જેને પગલે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 351 પર પહોંચી ગયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં પ્રો એક્ટિવ સર્વેને કારણે કોરોનાથી મૃત્યુ દર અટકાવી શકાશે અને કોરોનાનો ચેપ ફેલાતો પણ અટકાવી શકાશે. અમદાવાદમાં હાલ કોન્ટેક્ટ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં 13 વિસ્તાર આઈડેન્ટીફાઈ કર્યા છે. 31 કેસ જે નોંધાયા છે તેમાં પાંચ કેસ માણેક ચોક, 3 દરિયાપુરમાં નોંધાયા છે. પશ્ચીમ ઝોનમાં નવરંગપુરમાં સહકાર સોસાયટીમાં એક જ પરિવારના 7 કેસ છે. એક વ્યક્તિ અગાઉ સારવાર લઈ ચુક્યુ છે.
અમદાવાદના 14 વિસ્તાર હોટસ્પોટ
અમદાવાદમાં કોરોના હોટસ્પોટના કેટલા વિસ્તારને કલ્સ્ટર કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે. વધુ પોઝિટિવ દર્દી મળી રહ્યા છે તેને સંપૂર્ણ લોકડાઉન કરી અને કોરોનાનો ચેપ બીજે ન ફેલાય તે માટે પગલા લેવાઈ રહ્યા છે. હાઈરિસ્ક ધરાવતા 14 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવમાં આવ્યા છે. અહીં મેગા સર્વેલન્સ હાથ ધરીને તેમને કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં હોટસ્પોટ વિસ્તારમાંથી વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે.
કયા 14 વિસ્તારને જાહેર કરાયા ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ
શાહપુર
દરિયાપુર
જમાલપુર
બહેરામપુરા
દાણીલીમડા
મક્તમપુર
કાલુપુર
રખિયાલ
જશોદાનગર
જનતાનગર
બાપુનગર
બોડકદેવ
આંબાવાડી
રાણીપ
અમદાવાદમાં અત્યાર સુધી 13 મોત
અમદાવાદમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાંથી 1 જ દર્દી એવો હતો જે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતો હતો બાકી 12 દર્દી સ્થાનિક હતા જેમના કોરોનાથી મોત નીપજ્યા હતા. ગુજરાતમાં 617 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાંથી 33 દર્દી વિદેશ પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે 34 આંતરરાજ્ય પ્રવાસનો ઈતિહાસ ધરાવે છે પરંતુ 550 દર્દીઓને સ્થાનિક કક્ષાએથી ચેપ લાગ્યો છે. મૃતકોનો આંક જોઈએ તો અત્યાર સુધીમાં 26 લોકોના કોરોનાને કારમે મોત થઈ ચુક્યા છે જેમાં 3 લોકો વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે જ્યારે 3 લોકો આતંરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે. 20 લોકો સ્થાનિક હતા કે જેમના મોત થયા છે.