અમદાવાદમાં ગઈકાલ રાતથી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે જોકે, તંત્ર દ્વારા એવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી કે, કર્ફ્યૂ દરમિયાન અન્ય કોઇ સ્થળેથી અમદાવાદ આવી રહેલા મુસાફરોને ઘરે પહોંચવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે એરપોર્ટ પર AMTS મુકવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, આ નિર્ણય માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળ્યું હતું.
કર્ફ્યૂના પ્રથમ દિવસે મુસાફરો રઝળ્યા
એરપોર્ટ પર AMTS બસ નથી કરાઇ શરૂ
ટેક્સી ડ્રાઈવરોએ બમણું ભાડું વસૂલી રહ્યા છે
નોંધનીય છે કે, એરપોર્ટ પર મુસાફરો માટે AMTS બસ શરૂ કરાઈ નથી અને અમદાવાદમાં કર્ફ્યૂના પ્રથમ દિવસે મુસાફરો રઝળી પડ્યા હતા. તો બસ સ્ટેન્ડના પાર્કિંગમાં શોભાના ગાંઠિયા સમાન AMTS બસો જોવા મળી હતી.
મુસાફરો થયાં હેરાન
તો એવી પણ ઘટનાઓ સામે આવી હતી કે, પેસેન્જરોએ કર્ફ્યૂમાં ટેક્સી ડ્રાઈવરોએ બમણું ભાડું વસૂલ્યું હતું. તો કેટલાક મુસાફરો એવા પણ હતા કે, ઘરે પહોંચવા માટે પગપાળા નીકળી પડ્યા હતા.
કાલુપુર રેલવે સ્ટેશનથી બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદમાં ગઈકાલ રાતથી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે ત્યારે બહારગામથી આવતા મુસાફરો અટવાઈ ન પડે એ માટે કાલુપુર રેલવે સ્ટેશનથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કાલુપુર રેલવે સ્ટેશન પર લોકો અટવાઈ પડ્યા છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. કર્ફ્યૂ દરમિયાન જોવા મળી ભીડ ભારે પડી શકે છે. બહારથી આવેલ મુસાફરોની ભીડ જામી છે. AMTS બસોની વ્યવસ્થા છતાં મુસાફરોનો જમાવડો થયો છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ગઇકાલ રાતે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.
એન્ટ્રી પોઇન્ટ કરાયા બંધ
તહેવારો બાદ કોરોના વિસ્ફોટને કારણે શનિ-રવિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર અમદાવાદ સૂમસાન જોવા મળી રહ્યું છે. જો કે, અમદાવાદ પોલીસ દ્વારા પણ કર્ફ્યૂનું કડક પાલન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં આવતા તમામ એન્ટ્રી પોઈન્ટ બંધ કરાયા.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદમાં આવતા વૈષ્ણોદેવી, ઝુંડાલ, અને તપોવન સર્કલ બંધ કરવામાં આવ્યા છે. તો ઉત્તર ગુજરાતથી આવતા વાહનોને પણ પરત મોકલવામાં આવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે 1420 નવા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 13000 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 67,901 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,01,057 પર પહોંચ્યો છે.