રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી લોકો તકલીફમાં મુકાયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદથી ખેડૂતોની તકલીફમાં વધારો થયો છે. જિલ્લાના કોલીખડ ગામના ખેડૂતોએ અડદ મગફળી સોયાબીન વગેરેની વાવણી કરી છે.
તો હવે પાકમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. અને આ કાતરા નામની જીવાત પાકને નૂકશાન કરી રહી છે. જેથી ખેડૂતોમાં પાક સંપૂર્ણપણે નષ્ટ જવાની ચિંતા જોવા મળી છે. જો કે આ સિઝનમાં અપૂરતા પ્રમાણમાં વરસાદને લઈને ખેતરમાં જીવાત પડવાનું કારણ ખેડૂતો જણાવે છે.
તેમજ હજૂ પણ જો પર્યાપ્ત માત્રામાં વરસાદ નહિ આવે તો પંથકના તમામ ખેડૂતોના પાક નિષ્ફળ જવાથી નૂકશાની વેઠવાનો વારો આવે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. એક તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવી છે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણી ગામમાં ઘુસ્યા છે.
ત્યારે હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં લોકો કાગડોળે વરસાદના મન મુકીને વરસવાની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ધરતીપુત્રોમાં પૂરતો વરસાદ ન થવાથી ચિંતાની લાગણી છવાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પાકમાં જીવાત પડવાનુ કારણ પણ ઓછો વરસાદ જણાવી રહ્યા છે.