વડોદરામાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જનજીવન પ્રભાવિત થયું. જોકે, NDRF અને ફાયરબ્રિગેડની ટામ દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે શહેરમાં વરસાદી પાણીમાં મગર દેખાયો હતો. જેને લઇને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા મગર શહેરમાં ઘુસ્યા હતા.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે શહેરમાં મગર ઘુસી ગયા છે. પાણીના પ્રવાહની સાથે મગર તણાઈ આવ્યા છે. તો મગર રહેણાંક વિસ્તારોમાં પણ ઘુસી ગયા છે. જેને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તેવામાં એક મગરના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે. અને અચાનક શ્વાન પર હુમલો પણ કરે છે. આ મગર લોકો પર પણ હુમલો કરી શકે છે. જોકે આ હુમલામાં શ્વાન બચી ગયો છે. જોકે અહીં વડોદરાવાસીઓને ચેતી જવાની જરૂર છે. પાણીમાં મોજ મસ્તી માણવા માટે બહાર નીકળતા હોય તો જરા ચેતી જજો કારણ કે વડોદરા શહેરમાં મગર ફરી રહ્યા છે. જોકે હાલ મગરનું રેસ્ક્યુ કરીને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વિશ્વામિત્રી નદીના મગર શહેરમાં ઘુસ્યા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં વરસાદી પાણીમાં મગર દેખાયો હતો. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા મગર શહેરમાં ઘુસ્યા હતા. જોકે મગરનું રેસ્ક્યુ કરીને અન્ય સ્થળે ખસેડાયો હતો. સ્થાનિકોએ મગરને પકડીને રેસ્ક્યુ કર્યું હતું.
જોકે શહેરમાં લાલબાગ પાસેની રાજ સ્તંભ સોસાયટીમાં મગર દેખાયો હતો. મગરે કૂતરાને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં 4 મગર દેખાતા તાત્કાલિક સ્થાનિકોએ વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. ત્યારે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ થઇ શક્યું હતું. 4 જેટલા મગર સોસાયટીમાં ઘુસી ગયા હતા. જેને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના 6 સભ્યોએ રેસ્ક્યુ કર્યા હતા.
વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો
આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નેશનલ હાઇવે પાસેના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. હાઇવે પાસેના ખેતરો અને સોસાયટીઓમાં પાણી ઘુસ્યા છે. ત્યારે નેશનલ હાઇવેની આસપાસના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો
વડોદરામાં વરસેલા અવિરત વરસાદના કારણે નિર્માણ થયેલ પરિસ્થિતિ બાદ આજવા અને વિશ્વામિત્રી નદીના જળ ઢાઢર નદીમાં આવતા ઢાઢર નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે આમોદ તાલુકાના 8 જેટલા ગામો અલર્ટ ઉપર છે ત્યારે જુના વાડિયા ગામ તરફ જતા માર્ગો અને ખતેરો માં ઢાઢર નદીના જળ ફરી વળતા સ્થાનિક ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. પાણી માર્ગ ઉપર આવી જતા ગામ તરફ જઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ વધતી જળ સપાટીને લઇ લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે.