‘હું થોડી વારમાં આવું છું’ તેમ કહી ઘરેથી નીકળી ગયેલા યુવકના રહસ્મય રીતે ગુમ થવાનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે માત્ર પાંચ દિવસમાં ઉકેલી દેતાં હૃદય કંપાવી દેતી હત્યાનો પર્દાફાશ થયો છે. ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવી ઘટનામાં યુવકને તેના મિત્ર અને તેની પત્નીએ સરપ્રાઇઝ ગીફ્ટ આપવાના બહાને વહેલી સવારે ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ તેની આંખો પર પટ્ટી બાંધીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ દંપતીએ યુવકનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યાર બાદ શરીરના ટુકડા કરીને કેનાલમાં ફેંકી દીધા હતા. યુવક મિત્રની પત્નીની છેડતી કરતો હતો અને તેની સાથે શરીર સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાથી આ કરપીણ હત્યા કરવામાં આવી છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 29, 2023
રૂવાંડાં ઊભાં કરી દે તેવી ઘટનાનો પર્દાફાશ
બાપુનગર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં નસરીમબાનુ પઠાણે પતિ મેરાજ પઠાણ ગુમ થવાની અરજી કરી હતી, જેની તપાસ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ક્રાઇમ બ્રાંચને કેસની તપાસ સોંપાયાના ચાર દિવસમાં એક રૂવાંડાં ઊભાં કરી દે તેવી ઘટનાનો પર્દાફાશ થયો છે. નસરીમબાનુના પતિ મેરાજ પઠાણની તેના જ મિત્ર અને તેની પત્નીએ હત્યા કરીને લાશના ટુકડા કરી ફેંકી દીધા હતા. મેરાજ પઠાણ તેના પરિવાર સાથે બાપુનગર વિસ્તારમાં આવેલી ગુલબાઈની ચાલીમાં રહે છે. રર જાન્યુઆરીએ સવારના સાત વાગ્યાની આસપાસ મેરાજ ઘરેથી નીકળી ગયો હતો. મેરાજ ઘરે પરત નહીં આવતાં તેની પત્ની નસરીમબાનુએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી
બાપુનગર પોલીસે મેરાજના ગુમ થવા મામલે કોઈ કાર્યવાહી નહીં કરતાં નસરીમબાનુ અને તેનો પરિવાર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળ્યો હતો. ર૪ માર્ચના રોજ પોલીસ કમિશનરે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. જાડેજાએ મેરાજના ગુમ થવાની તપાસ શરૂ કરી હતી અને સૌથી પહેલાં તેની માતા શકીનાબીબી, ભાઇ મોહંમદ ઇમરાન અને પત્ની નસરીમબાનુની પૂછપરછ કરીને નિવેદન લીધાં હતાં. ત્રણેય જણાએ િનવેદન આપ્યાં હતાં કે મેરાજના ગુમ થવા પાછળ તેનો મિત્ર મોહંમદ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ અને તેની પત્ની રીઝવાના ઉર્ફે નેહા જવાબદાર હોઈ શકે છે.
મેરાજની હત્યા કરી હોવાની કબૂલાત
બાપુનગરમાં આવેલી ચીનુલાલની ચાલીમાં રહેતો મોહંમદ ઇમરાન ઉર્ફે સુલતાન મેરાજનો ખાસ મિત્ર હતો. બંને વચ્ચે એક વર્ષ પહેલાં મિત્રતા થઇ હતી અને રોજ મેરાજ તેના ઘરે જતો હતો. મેરાજની મિત્રતા એટલી હતી કે સુલતાન તેને આખો દિવસ ફોન કરતો હતો. મેરાજનાં પરિવારજનોએ સુલતાન અને તેના પરિવારની તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેની પત્ની રીઝવાના ઉર્ફે નેહા ચરિત્ર્યહીન છે, જેથી મેરાજને સુલતાન સાથે સંબંધ નહીં રાખવા માટે પરિવારજનોએ અનેક વખત સમજાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ખાનગી રાહે તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે મેસેજ નેહા સાથે આડા સંબંધ રાખવા માટેનું દબાણ કરતો હોવાથી ઇમરાન તેના પર દાઝ રાખીને બેઠો હતો. ક્રાઇમ બ્રાંચે ગઇ કાલે ઇમરાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઇમરાનની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી તો તે ભાંગી પડ્યો હતો અને તેણે મેરાજની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
મેરાજના પેટમાં તલવાર આરપાર કરીને તેની હત્યા
ઇમરાનના જણાવ્યા અનુસાર મેરાજ રોજ ઘરે આવતો હતો અને નેહાની છેડતી કરી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, જેથી રર જાન્યુઆરીએ નેહાએ મેરાજને સરપ્રાઇઝ આપવાના બહાને ઘરે બોલાવ્યો હતો. મેરાજ આવ્યો ત્યારે નેહાએ તેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. સરપ્રાઇઝની રાહ જોઇ રહેલા મેરાજને સપનામાં પણ ખ્યાલ હતો નહીં કે તેનો મિત્ર તેની નિર્દયતાથી હત્યા કરશે. મેરાજની આંખ પર પટ્ટી હતી ત્યારે ઇમરાન આવ્યો હતો અને મેરાજના પેટમાં તલવાર આરપાર કરીને તેની હત્યા કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચે ઇમરાન અને તેની પત્ની નેહા વિરુદ્ધ પૂર્વઆયોજીત કાવતરું ઘડીને હત્યા કરવાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધા
મેરાજની હત્યા કર્યા બાદ ઇમરાને તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને લાશના ટુકડા કરી થેલીમાં ભરી દીધા હતા. માથું કચરાના ઢગલામાં નાખી દીધું હતું અને શરીરના બીજા ટુકડા થેલીમાં ભરી દંપતી ઓઢવ કેનાલ પાસે નાખી આવ્યાં હતાં. ક્રાઇમ બ્રાંચની ટીમ ગઇ કાલે ઇમરાનને ઓઢવ કેનાલ પાસે લઇ ગઇ હતી, જ્યાં મેરાજના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ અવશેષો મેરાજના છે કે નહીં તે મામલે FSLની મદદ પણ લીધી છે.