અમદાવાદ: પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. 25મીના ઉપવાસ માટે AMC દ્વારા ગ્રાઉન્ડ ન ફાળવાતા આજે પ્રતિક ઉપવાસ કરી તેનો વિરોધ કરશે.
જો કે મળતી માહિતી અનુસાર પાસ કન્વીનર હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ પહેલા ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાર્દિક પટેલા ઘરે પહોંચી છે. પરંતુ હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને ન હોવાનું સામે આવ્યું છે. હાર્દિક પટેલ આજે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવા માટે મક્કમ હતો તેથી ક્રાઈમ બ્રાચે હવે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. હાર્દિક પટેલ હાલ નિકોલમાં હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. વસ્ત્રાલ અને નિકોલમાંથી 40 જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલના ઘરની બહાર પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખડકી દેવામાં આવી છે.
મહત્વનું છે કે હાર્દિક પટેલની પણ આજે અટકાયત થઈ શકે છે. હાર્દિક પટેલ નિકોલમાં પાર્કિગ ઝોનમાં ઉપવાસ આંદોલન ચલાવી શકે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના કારણે હાર્દિક પટેલ અને તેના સાથીઓ મોંઢા પર કાળીપટ્ટી બાંધીને ઉપવાસ કરશે.
હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસને લઇને જણાવ્યું હતું કે હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું. સરકાર કેમ ડરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.
મહત્વનું છે કે આગામી 25 ઓગસ્ટના રોજ હાર્દિક પટેલ દ્વારા આમરાણંત ઉપવાસનો હુંકાર કરવામાં આવ્યો છે. અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ કરવામાં આવી છે. જેના ભાગરૂપે હાર્દિક અને તેમની ટીમે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ઉપવાસ આંદોલન ચલાવવા માટે જગ્યા માગી હતી જો કે કોર્પોરેશને તે જગ્યા પર પાર્કિંગ ઝોનના લેબલ મારી દીધા છે. તેમજ એકપણ ગ્રાઉન્ડ માટે પરવાનગી આપી ન હોવાથી પાટીદારો રોષે ભરાયા છે અને જગ્યા માટે જંગ લડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.