અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું નામ પડતાંની સાથે જ મોટા મોટા ગુનેગારોના પસીના છૂટી જાય છે. શહેરમાં જ્યારે કોઇ પણ કેસનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસનો પનો ટૂંકો પડે છે ત્યારે તે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે છે. ક્રાઇમ બ્રાંચ ઘણી મહેનત કરીને કેસને સોલ્વ કરી દેતી હોય છે. પરંતુ આજે પણ અમદાવાદમાં કેટલાક એવા કેસ છે જેનો ભેદ ઉકેલવામાં ખુદ ક્રાઇમ બ્રાંચનો પનો પણ ટૂંકો પડી રહ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું નામ પડતાંની સાથે જ મોટા મોટા ગુનેગારોના પસીના છૂટી જાય
દસ વર્ષિય માસૂમ બાળક વિવેક પરમારની ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ મૃતદેહ મળ્યો હતો
સોલામાં શનિવારની સાંજે ગુમ થયેલી સાત વર્ષની ખુશીની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઉકેલી દેતાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે ત્યારે બાપુનગરમાં સાત વર્ષની સંગીતા અને ગોમતીપુરમાં દસ વર્ષના વિવેકની હત્યા કેસનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી.
ખુશી ગુમ થતાંની સાથે જ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ હતી
સોલા વિસ્તારમાં ઘર નજીકથી શનિવારે સાંજે સાત વર્ષની ખુશી ગુમ થઇ હતી. જેને સોલા પોલીસ શોધી રહી હતી. ખુશી ગુમ થતાંની સાથે જ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ હતી અને અલગ અલગ દિશાઓમાં તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાંચે ભાવેશ ઉર્ફે ભીખા મિસ્ત્રીની પૂછપરછ કરી હતી. જેમાં તેને ખુશીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. જોકે તેણે બુમાબુમ કરતાં ભાવેશે તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
શનિવારે થયેલી ખુશીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચને જલદી સફળતા મળી ગઇ છે પરંતુ હજુ બે બાળકોના હત્યા કેસ એવા છે કે જેમાં ક્રાઇમ બાંચને સફળતા નહીં મળતાં તેનાં માતા પિતા ન્યાયની રાહ જોઇને બેઠાં છે. ૧૧ વર્ષ અગાઉ પણ બાપુનગર વિસ્તારમાં તા.૩ ફેબ્રુઆરી,૨૦૦૯માં ઘરેથી ગુમ સાત વર્ષની બાળકી સંગીતાનો મૃતદેહ મ્યુનિસિપલ સ્કૂલનાં ટોઈલેટમાંથી મળ્યો હતો. સંગીતા પર રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બાપુનગર પોલીસ બાદ ક્રાઇમ બ્રાંચે તપાસ કરી હતી. જોકે આજ દિન સુધી સંગીતાની હત્યાનો ભેદ ઉકેલાયો નથી. આ કેસની તપાસમાં પોલીસે એફએસએલ રિપોર્ટ, વીડિયોગ્રાફી, ડોગ સ્કોડ વગેરે સહિતની અધ્યતન પદ્ધતિઓની મદદ લીધી હતી અને ૧૨૦ ઈસમોની પૂછપરછ પણ કરી હતી
દસ વર્ષિય માસૂમ બાળક વિવેક પરમારની ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ મૃતદેહ મળ્યો હતો
આ સિવાય ગોમતીપુર વિસ્તારમાં આવેલી શંકરપુરાની ચાલીમાં રહેતા દસ વર્ષિય માસૂમ બાળક વિવેક પરમારની ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ખોખરા બ્રિજ નજીક આવેલા સલાટ નગર પાસે પથ્થર વડે મોં છૂંદીને કરપીણ હત્યા કરાઇ હતી. આ કેસમાં ગોમતીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે વિવેકની હત્યાનો ભેદ નહીં ઉકેલાતાં કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ કેસને ચાર વર્ષ થઇ ગયા છે તેમ છતાંય ક્રાઇમ બ્રાંચની ટીમ વિવેકની હત્યાનો આરોપી કોણ છે તે શોધી શકી નથી.