કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. guj ctoc 2015ની કલમ-3 હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ સામે રાજ્યનો પ્રથમ ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા 6 માસથી જેલમાંથી ચાલતા ખંડણીના નેટવર્કનો પર્દાફાશ થયો. જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ખંડણીનું નેટવર્કનો ઘટસ્ફોટ થતા જેલના સત્તાધીશો વિરૂધ્ધ પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી.
વિશાલ ગોસ્વામીનો વેપારીમાં ફરી ફફડાટ
જેલમાં બેસીને ખંડણીનુ નેટવર્ક ચલાવતો
વિશાલ ગોસ્વામીના સાગરિતો વેપારીઓને ધમકી આપતા
વિશાલ ગોસ્વામી સહિત તેની ગેંગના સાત આરોપીઓ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરવા બદલ ગુજરાત રાજ્યનો સૌપ્રથમ ગુનો ગુજસીટોક હેઠળ નોંધાયો છે. વિશાલ ગોસ્વામી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ રહીને પણ ખંડણીનુ નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી ચાલતા આ નેટવર્કની માહિતી બે મહિના પહેલા ક્રાઈમ બ્રાંચ પાસે આવી અને તેની તપાસ કરતા કુલ 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો. જેમાંથી બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાઇગર ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને સૂરજ ગોસ્વામીની ધરપકડ કરી કુલ 20 મોબાઈલ, પીસ્ટલ અને 40 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે ગુનાના મુખ્ય આરોપી વિશાલ, અજય અને રીંકુ જેલમાં પણ મોબાઈલથી ખંડણીની કરતા હોવાની વાત સામે આવતા પોલીસે સર્ચ કરી ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા. જોકે ગત ડિસેમ્બર માસમાં એક વેપારી પાસે આ ગેંગે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાની જાણ થતા પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી હતી.
અમદાવાદ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં 51થી વધુ ગુનાઓ વિશાલ ગોસ્વામીને વિરુદ્ધ નોંધાવી ચૂક્યા છે. વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો.
કચ્છના ભારાસરની BOB બ્રાંચમાં ફાયરિંગ કરી 12 લાખની લૂંટ
ઘાટલોડિયામા નંદજ્વેલર્સના માલિક પર ફાયરિંગ, લૂંટની કોશિષ
નવરંગપુરામાં ભાનુ જ્વેલર્સના માલિકો પર ફાયરિંગ
સોલામાં પ્રકાશપટેલ પાસેથી 10 લાખની ખંડણીની માગણી
વસ્ત્રાપુરમાં પ્રકાશ સોનીની હત્યા બાદ લૂંટ
સોલામાં બાઈક પર આવી ફાયરિંગ કરી 3.50 લાખની લૂંટ
ઘાટલોડિયામાં પંકજ સોનીની હત્યા અને 2.50 લાખની લૂંટ
વટવા-પીપળજની ADC બેંકમાં ફાયરિંગ કરી રૂ.5.50 લાખની લૂંટ
ત્યારે બીજી તરફ સેન્ટ્રલ જેલમાં બેરોકટોક રીતે વિશાલ ગોસ્વામી પોતાનું નેટવર્ક મોબાઇલ મારફતે ખંડણી માગી કરતો હતો. જ્યારે સેન્ટ્રલ જેલમાં સ્માર્ટફોન કેવી રીતે પહોંચે છે ? અને 4જી ઝામર લાગ્યા હોવા છતાં ઘણા ગુનેગારો કેવી રીતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેલમાં રહીને કરે છે તેનો જવાબ તો પોલીસ અધિકારી પાસે પણ નથી..
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સામાન્ય ગુનેગારોની સાથે સિરિયલ બ્લાસ્ટ કેસ ઉપરાંત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા આરોપીઓ પણ સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલની સુરક્ષા વ્યવસ્થાને કારણે ગુનેગારો જેલમાં જ પોતાનું એપી સેન્ટર બનાવી અન્ય ગુનાઓને અંજામ આપી રહ્યા છે. પરંતુ જેલના બેદરકાર સત્તાધીશો સામે હવે કેવા પગલાં લેવાય છે તે જાણવું મહત્વનું બની રહેશે.