કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત ક્રિકેટર ઋષભ પંતના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તેમના મગજ, કરોડરજ્જુના રિપોર્ટ નોર્મલ આવ્યા હોવાનું જણાય રહ્યું છે.
ક્રિકેટર ઋષભ પંતની કાર અકસ્માતનો મામલો
સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું
મગજ, કરોડરજ્જુમાં કોઈ ઊંડી ઈજા થઈ ન હોવાનું નોંધાયું
ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં ઋષભ પંતને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજા થઈ હતી. જેથી પ્રાથમિક સારવાર બાદ હાલ તેની દહેરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લોકો ક્રિકેટર ઋષભ પંતની સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેવામાં ઋષભ પંતના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેમાં પંતના મગજ અને કરોડરજ્જુના એમઆરઆઈ સ્કેનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે કે તેને મગજ અને કરોડરજ્જુમાં કોઈ ઊંડી ઈજા થઈ ન હોવાનું નોંધાયું છે.
મગજ અને કરોડરજ્જુના રિપોર્ટ નોર્મલ
ESPN cricinfoના રિપોર્ટ અનુસાર, પંતને ઇજાને પગલે મગજ અને કરોડરજ્જુમાં કોઈ અસર થઈ કે કેમ તે જાણવા માટે તેમનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અંગેના રિપોર્ટ સામે આવ્યા છે જેમાં બધું નોર્મલ હોવાનું જણાઇ રહ્યું છે. રૂરકી નજીક આ માર્ગ અકસ્માતમાં પંતના ચહેરા પર પણ ઈજા થઈ હતી. જેને લઈને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની પણ નોબત આવી છે.