દેશમાં હિજાબ વિવાદ વચ્ચે ઇરફાન પઠાણે પત્નીનો હિજાબ પહેરવેશ સાથેનો એરપોર્ટ પરનો ફોટો પોસ્ટ કર્યો હતો, VTV ગુજરાતી કોઈ પણ વિવાદને સમર્થન આપતું નથી
ક્રિકેટર ઇરફાન પઠાણ થયા ટ્રોલ
પત્નીનો હિજાબ સાથેનો ફોટો પોસ્ટ કરતા ટ્રોલ
દેશમાં ચાલી રહ્યો છે હિજાબ પર વિવાદ
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં હિજાબ પર વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સામ સામે સોશિયલ મીડિયા થકી પોસ્ટ મૂકવાની હોડ જામી છે. ક્રિકેટર ઇરફાન પઠાણે પત્નીનો હિજાબ સાથેનો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે. ઇરફાને પત્ની અને બાળક સાથેનો એરપોર્ટ પરનો ફોટો એવા સમયે શેર કર્યો છે જ્યારે દેશમાં હિજાબ બાબતે જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. અને એટલા જ કારણે ક્રિકેટર ઇરફાન પઠાણને આ ફોટો શેર કરવા બદલ ખૂબના ટ્રોલ કરવામાં આવ્યા છે. જો કે તેમણે પોસ્ટમાં સુલેમાનની પ્રથમ ઉડાન એવું લખ્યું હતું.કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે વચગાળાનો આદેશ આપતાં કહ્યું હતું કે, શાળા અને કોલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ ચાલુ રાખો. તો સામે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની સુપ્રીમ કોર્ટની બેન્ચે રજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો, અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું.
SCએ તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે.ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
કોર્ટે કહ્યું કે તે આ મામલે યોગ્ય સમયે સુનાવણી કરશે
કેસની સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે કહ્યું, "અમે કર્ણાટકમાં શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છીએ અને મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે." અરજદારોને સલાહ આપતાં કોર્ટે કહ્યું કે તેઓ આ બાબતને રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બનાવવાનું ટાળે. યોગ્ય સમયે સર્વોચ્ચ અદાલત તરફથી હસ્તક્ષેપ કરવામાં આવશે.જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે વચગાળાનો આદેશ આપતાં કહ્યું હતું કે, શાળા અને કોલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ ચાલુ રાખો. આ સાથે કોર્ટે સોમવારે ફરી એકવાર આ મામલે સુનાવણી કરવાનું કહ્યું છે.
કર્ણાટકનો હિજાબ વિવાદ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો
કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને દેશના અલગ અલગ ભાગોમાં મુસ્લિમ સમુદાય તરફથી પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનની આંચ હવે મહારાષ્ટ્રના માલેગાંવ સુધી પહોંચી ગઈ છે. અહીં જમીયત ઉલેમાએ ભીડ એકઠી કરીને કર્ણાટક ભાજપની સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કર્યા હતા. સાથે જ હિજાબ દિવસ મનાવાની પણ જાહેરાત કરી હતી. વિરોધ પ્રદર્શન જોતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટિલે તમામને શાંતિની અપીલ કરી હતી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી પાટિલે મસ્જીદ ધર્મગુરૂઓને લોકોને શાંતિ જાળવી રાખવામાં મદદ કરવા પણ જણાવ્યું છે.
હિજાબ પર વિવાદ ક્યારે શરૂ થયો ?
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ 1 લી જાન્યુઆરીથી શરૂ થયો છે.કર્ણાટકના ઉડ્ડુપીમાં 6 મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા બદલ કોલેજના કલાસરૂમમાં બેસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. કોલેજ મેનેજમેન્ટે નવી યુનિફોર્મ પોલિસીને આ માટેનું કારણ ગણાવ્યું હતું. ત્યારબાદ યુવતીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ સમય જતાં વિવાદ વધુ વકરી રહ્યો છે.