ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બે ટેસ્ટની સીરિઝની પહેલી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ ભારત સામે 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ લીધા હતા, જ્યારે મુશ્ફિકુર રહીમે 43 અને મોમિનુલ હકે 37 રન કર્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરમાં પહેલી ટેસ્ટ મેચ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા ટૉપ પર
IND vs BAN સ્કોર
ઉમેશ યાદવ અને ઈશાંત શર્માની જોડીએ શાનદાર શરૂઆત સાથે બાંગ્લાદેશના બંને ઓપનરોને 12 રનના કુલ સ્કોર પર આઉટ કરી દીધા હતા. ઉમેશ યાદવે ઈમરુલ કાએસને અજિંક્ય રહાણેના હાથે કેચ કરાવી આઉટ કરી બાંગ્લાદેશને પહેલો ઝટકો આપ્યો હતો. ઈમરુલ કાએસ 6 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાંત શર્માએ શાદમાન ઈસ્લામને કેચ આઉટ કરાવી તેની વિકેટ લીધી હતી. આ રીતે શાદમાન પણ 6 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે જ 31 રનના સ્કોર સાથે મોહમ્મદ શમીએ બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો. તેણે મોહમ્મદ મિથુનને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.
અશ્વિને મોમિનલ હકને 37 રન અને મહમૂદુલ્લાહને 10 રને બોલ્ડ કરી દીધા હતા. આ સાથે જ અશ્વિને હકને આઉટ કરીને ઘરઆંગણે 250મી ટેસ્ટ વિકેટ લીધા બાદ મુથૈયા મુરલીધરનની બરોબરી કરી છે. બંને સ્પિનરે 42મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિને આ મામલે ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેને પાછળ છોડી દીધા હતા.
મુશફિકર રહીમ 43 રને મોહમ્મદ શમીની બોલિંગમાં બોલ્ડ થયો હતો, તેના પછી મહેંદી હસન પણ પ્રથમ બોલે એલબીડબ્લ્યુ થયો હતો. આ બંને વિકેટ શમીએ 140ના કુલ સ્કોર સાથે લીધા હતા. રહીમે સંઘર્ષ કરતાં 150 બોલનો સામનો કર્યો હતો અને ચાર ચોગ્ગા સહિત એક સિક્સર મારી હતી.
બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને બોલિંગ સોંપવામાં આવી. ફાસ્ટ બૉલર ઈશાંત શર્મા ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા છે. વિરાટે કહ્યું કે, ઈન્દોરની પિચ પર ઘાસ સારી છે, એટલે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફાસ્ટ બૉલરોને તક આપવામાં આવી છે. શાકિબ અલ હસન મેચ ફિક્સિંગમાં ફસાઈ જવાને કારણે મોમિનુલને કેપ્ટન્સીની તક મળી છે.
બાંગ્લાદેશના કેપ્ટન મોમિનેલે કહ્યું કે, 'પિચ મુશ્કેલ છે તેથી અમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. બાંગ્લાદેશના કેપ્ટન થવું તે સન્માનની વાત છે. બહુ ઓછા લોકોને આ તક મળે છે. બાંગ્લાદેશે અંતિમ-11માં ફેરફાર કર્યો છે.
ગુરુવારથી ઈન્દોરમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ પર ભારે પડશે. આ મેચ પહેલા 'ગુલાબી બૉલ'ની ચર્ચા થઈ રહી છે. કોલકાતામાં 22 નવેમ્બરે યોજાનારી પ્રથમ એતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ પર સતત ચર્ચા થઈ રહી છે, જે ગુલાબી બૉલથી રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કેલેન્ડરની આ એવી સીરિઝ છે, જેમાં વિરાટના વીર ખેલાડીઓ બાંગ્લાદેશને 4 દિવસમાં જ હરાવી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સીરિઝમાં 120 પોઇન્ટ મેળવવા પર છે. હાલમાં તે 240 પોઇન્ટ સાથે ટોચ પર છે.
તમિમ-શાકિબ વિના બાંગ્લાદેશ નબળું છે
તમિમ ઇકબાલ અને શાકિબ અલ હસન વિના બાંગ્લાદેશની જીતની કલ્પના કરવી મુશ્કેલ છે. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારી બાંગ્લાદેશની ટીમ હમેશાં પરંપરાગત ફોર્મેટમાં નબળી સાબિત થઈ છે. છેલ્લી સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યું છે. બીજી બાજુ બાંગ્લાદેશના શ્રેષ્ઠ બેટ્સમેન કેપ્ટન મોમિનુલ હકે ટેસ્ટ ક્રિકેટમાં દસથી ઓછી સદી ફટકારી છે.
કોહલી, પુજારા, રહાણેનો શાનદાર રેકોર્ડ
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 26 સદી ફટકારી છે, જ્યારે અજિંક્ય રહાણેએ 11 અને ચેતેશ્વર પુજારાના નામે 18 સદી છે. બાંગ્લાદેશના મુસ્તાફિઝુર રહેમાન, તૈઝુલ ઇસ્લામ અને મેહદી હસન મિરાજને ભારતીય બેટ્સમેન સામે ટકી રહેવામાં મુશ્કેલી આવશે. આ ત્રણેય પહેલાં તેઓને ઓપનર મયંક અગ્રવાલ અને રોહિત શર્માને માત આપવી પડશે, ભારતીય બૉલરોએ સાથે મળીને 800થી વધુ વિકેટ લીધી છે.
અગાઉની ટેસ્ટમાં શાકિબની કેપ્ટનશિપ હેઠળ બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાન સામે હારી ગઈ હતી. હાલ શાકિબ બે વર્ષના સસ્પેન્શનને કારણે ક્રિકેટથી દૂર છે. ભારતીય ઉપ-કેપ્ટન રહાણેએ કહ્યું કે, 'બાંગ્લાદેશ એક મહાન ટીમ છે.' અમે દક્ષિણ આફ્રિકા સામે સારો દેખાવ કર્યો હતો પરંતુ હવે તે ભૂતકાળની વાત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દરેક મેચ મહત્વપૂર્ણ છે.
હોલકરની પિચ બેટ્સમેનને મદદ કરે છે
હોલકર સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદગાર સાબિત થઈ છે. તેની બાઉન્ડ્રી નાની છે, પરંતુ પિચમાં બાઉન્સ છે. મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ફાસ્ટ બોલિંગની સુકાન સંભાળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિન સ્પિનની જવાબદારી સંભાળશે.