ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટ્સમેન અને કમેન્ટેટર સંજય માંજરેકરને મોટો ઝાટકો લાગ્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન સંજય માંજરેકર હાજર ન હતા, જ્યારે પેનલ પરના અન્ય કમેન્ટેટર સુનિલ ગાવસ્કર, મુરલી કાર્તિક અને એલ.શિવરામકૃષ્ણ સ્ટેડિયમમાં હતા.આ પાછળનું કારણ હવે સામે આવી ગયું છે, સમાચાર અનુસાર સંજય માંજરેકરને ભારતીય ટીમની ઘર આંગણે યોજાતી મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
સંજય માંજરેકરને ઘર આંગણે યોજાતી ભારતીય ટીમની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે
માત્ર દ્વિપક્ષીય સીરીઝથી જ નહી પરંતુ IPLની આવનારી સીઝન માંથી પણ કમેંટ્રી પેનલનો નહીં બને હિસ્સો
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ કામચલાઉ ક્રિકેટર કહ્યા હતા
સંજય માંજરેકરથી ખુશ નથી ઓથોરિટી
એક અહેવાલ અનુસાર સંજય માંજરેકર માત્ર ભારતની દ્વિપક્ષીય સીરીઝથી જ નહી પરંતુ IPLની આવનારી સીઝન માંથી પણ કમેંટ્રી પેનલનો હિસ્સો નહીં બને. શુક્રવારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે 29 માર્ચથી શરુ થવા વાળી IPL હવે 15 એપ્રિલ બાદ શરુ થશે. માંજરેકરને પેનલથી હટાવવા પાછળના કોઈ ખાસ કારણો સામે નથી આવ્યા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ઓથોરિટી માંજરેકરના કામથી ખુશ નથી. સૂત્રોના અનુસાર માંજરેકર કદાચ IPLનો પણ હિસ્સો બની નહીં શકે.
જાડેજાને કહ્યા હતા 'કામ ચલાઉ'
સંજય માંજરેકરે ICC વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ કામચલાઉ ક્રિકેટર કહ્યા હતા, સંજય માંજરેકર આ નિવેદન બાદ ઘણી મુશ્કેલીમાં પણ ફસાઈ ગયા હતા. સંજય માંજરેકરે કહ્યું, 'હું એવા ખેલાડીને જોવા નથી માંગતો જે ટુકડાઓમાં પ્રદર્શન કરે, હું બેટ્સમેનને પસંદ કરીશ અથવા બોલરને જેવી રીતે આજકાલ જાડેજા વન ડેમાં પરફોર્મ કરી રહ્યા છે.'
સંજય માંજરેકર ICC પેનલમાં સામેલ છે
સંજય માંજરેકરને વિશ્વના શ્રેષ્ઠ કમેન્ટેટર ગણવામાં આવે છે. તે છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં કમેંટ્રી પેનલનો ભાગ રહ્યા છે, જ્યારે 1996માં નિવૃત્તિ લીધા પછી, તે ICCની મોટા ભાગની ઇવેન્ટમાં કમેંટ્રી કરી રહ્યા છે. જો કે, BCCI ઘણા સમયથી તેના કામથી ખુશ નથી. તમને જણાવી દઈએ કે BCCIના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી પોતે પણ ICCના કમેન્ટરી પેનલનો ભાગ છે. ગયા વર્ષે સંજય માંજરેકર પોતાના નિવેદનો માટે બે વાર ચાહકોના નિશાના પર આવી ગયા હતા.