ક્રિકેટથી રાજનીતિમાં ગયેલા નવજોત સિંહ સિદ્ઘુ પોતાના મિત્ર ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા છે. દેશ જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનનો શોક વ્યક્ત કરી રહ્યો છે ત્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હોવાને કારણે તેમની ટીકા પણ થઈ રહી છે.
પાકિસ્તાન પહોંચીને સિદ્ધુએ પોતાના આગવા અંદાજમાં વાજપેયીનો ઉલ્લેખ કર્યો. શુક્રવારના રોજ પાકિસ્તાન પહોંચીને સિદ્ધુએ કહ્યું કે તે નેતા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે ત્યાં આવ્યા છે. તેમણે પોતાને ભારતના ‘સદ્દભાવના દૂત’ જણાવ્યા અને કહ્યું કે તે ‘પ્રેમનો સંદેશો’ લઈને પાકિસ્તાન પહોંચ્યા છે.
સિદ્ધુએ વાજપેયીનો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશના દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી પણ બન્ને પાડોશી દેશો વચ્ચે શાંતિ અને અમનની વાત કરતા હતા. તેમણે કહ્યું કે ‘જો પાડોશીના ઘરમાં આગ લાગે છે તો તેની અસર આપણા પર પણ આવશે.’ સિદ્ધુએ ‘હિન્દુસ્તાન જીવે પાકિસ્તાન જીવે’નો નારો પણ આપ્યો.
સિદ્ધુએ જણાવ્યું કે તે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને તેમના મિત્ર ઈમરાન ખાન માટે ગિફ્ટ તરીકે કાશ્મીરી શૉલ લઈ ગયા છે.
આ પહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કર અને કપિલ દેવને શપથ સમારોહમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ પોતાના નિજી કારણોસરથી પહોંચી નથી શક્યા.