ગત વર્ષે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના નવા બનેલા મોટેરા સ્ટેડિયમ ખાતે જંગી મેદનીને સંબોધન કર્યું.
ટ્રમ્પના એ કાર્યક્રમ સાથે જ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એવું અમદાવાદનું મોટેરા દુનિયાના નકશા પર ચમકી ઊઠ્યું હતું. હવે આ જ સ્ટેડિયમમાં બીસીસીઆઇ દ્વારા આયોજિત સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચ સાથે ક્રિકેટનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે, જોકે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચ દરમિયાન મીડિયા અને દર્શકોને એન્ટ્રી મળવાની નથી. ખાલી સ્ટેડિયમમાં જ આ ટૂર્નામેન્ટની મેચ રમાશે.
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની લીગ મેચ ગત ૧૯ જાન્યુઆરી સમાપ્ત થઈ ચૂકી છે. હવે છેલ્લી આઠ ટીમ ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ માટે નક્કી થઈ ગઈ છે. આ આઠ ટીમ ઓછામાં ઓછા ચાર મુકાબલા જીતીને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. કેટલીક ટીમ પાંચ મુકાબલા પણ જીતી છે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના મીડિયા મેનેજર મનીષ શાહે જણાવ્યું, ''ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની શરૂઆત તા. 26 જાન્યુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે બપોરના 12.00 વાગ્યે કર્ણાટક-પંજાબ વચ્ચેની મેચ સાથે થશે. આ જ દિવસે સાંજના 7.00 વાગ્યે તામિલનાડુ-હિમાચલ વચ્ચે બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટની ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મોટેરામાં ૨૭ જાન્યુઆરીએ બપોરના 12.00 વાગ્યાથી હરિયાણા અને વડોદરાની ટીમ વચ્ચે રમાશે. જ્યારે આ જ દિવસે ચોથી અને અંતિમ ક્વાર્ટર ફાઇનલ મેચ સાંજના ૭.૦૦ વાગ્યે બિહાર અને રાજસ્થાનની ટીમ વચ્ચે રમાશે.''
પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતનારી ટીમને સેમિફાઇનલમાં સ્થાન મળશે. સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા પણ શહેરના મોટેરા સ્ટેડિયમમાં જ રમાશે.
ઉલ્લેખનીય છે કે આગામી 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ડે-નાઇટ ટેસ્ટ રમાવાની છે. જ્યારે ચોથી ટેસ્ટ પણ મોટેરામાં જ તા. 4 થી 8 માર્ચ દરમિયાન રમાશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ પાંચ મેચની ટી-20 શ્રેણી પણ 12 માર્ચથી 18 માર્ચ દરમિયાન રમાશે. ત્યાર બાદ ત્રણ મેચની વન ડે શ્રેણી 23થી 28 માર્ચ દરમિયાન મોટેરામાં રમાશે. અગાઉ 1982માં 63 એકરમાં બનેલા મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા54000 હતી, જે હવે બમણી થઈ ગઈ છે. નવા સ્ટેડિયમમાં 1,10000 દર્શકો મેચનો આનંદ માણી શકશે.