અમદાવાદઃ સ્માર્ટ સિટી અમદાવાદની હવે નવી ઓળખ બની ગઈ છે. ભૂવા સિટી અમદાવાદ... કારણ કે વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર મોતના ભૂવા પડે જ છે. મેઘરાજાની પધરામણી થાય ત્યારે તુરંત જ ભૂવાની પણ એન્ટ્રી થઈ જાય છે. શહેરના બહેરામપુર વિસ્તારમાં પણ આવા જ મોતના ભૂવા પડ્યા છે. એક કે બે નહીં પરંતુ એક જ રસ્તા પર ચાર-ચાર ભૂવા પડ્યા છે. જે કોઈપણનો જીવ લઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આ ભૂવા પડ્યા છતાં હજૂ સુધી તંત્રનો એક પણ અધિકારી ઘટના સ્થળની મુલાકાતે પણ પહોંચ્યો નથી. કે ન તો ભૂવાનું સમારકામ કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભૂવા પડવાના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન છે. એક જ રસ્તા પર આ રીતે ભૂવા પડવા એટલે કે મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. વરસાદ પડતાની સાથે જ AMCની પોલંપોલ ખુલ્લીને સામે આવી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ઓફિસોમાં બેસનારા જનતાની સમસ્યાનું નિવારણ ક્યારે લાવે છે. અને ક્યારે અમદાવાદીઓને આ મોતના ભૂવામાંથી છુટકારો મળે છે.
હાટકેશ્વરમાં કોર્પોરેટરના ઘરની સામે જ ભૂવા પડતા અનેક સવાલ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હાટકેશ્વર-રિંગરોડ પર બે ભુવા પડ્યા છે. 100 મીટરના અંતરે બે ભુવા પડતા તંત્રની કામગીરી સામે ફરી એક વખત સવાલો ઉપજી આવ્યા છે. હાટકેશ્વર વિસ્તારના ભાયપુરા વોર્ડના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજીયાના ઘરની બિલકુલ સામેના સામે આ પ્રકારના ભુવા પડતા વહીવટી સિસ્ટમ કેટલી સજાગ છે તે દેખાઈ આવે છે. હાલ દિવા તળે અંધારા જેવો શહેરનો માહોલ છે.
ત્યારે વહિવટી સિસ્ટમ બેરીકેડ લગાવીને માત્ર સંતોષ માની રહ્યું છે. આ પ્રકારના ભુવાથી કોઈ વાહનચાલક કે રાહદારી સાથે કોઈ દૂર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો હાલ તંત્ર વિરૂદ્ધમાં ઉપજી આવે છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં ભુવા પડવાની આ બીજી ઘટના છે.
લોકોએ પોતાનો રોષ કર્યો વ્યકત
કોર્પોરેશનની ભ્રષ્ટ નીતિને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં જ ભૂવા જ ભુવા પડેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં 3-4 ઇંચ વરસાદમાં જ પાણી ભરાતા અનેક ભુવા પડ્યા હતા. ઝાડ પડી ગયા હતા. થોડા પણ વરસાદ આવે એટલે અમદાવાદના કોઈ પણ ગલી-મહોલ્લા કે ખુણામાં જાવો તો તેમને એક ભૂવો જોવા મળી જ જાય છે. અમદાવાદમાં ભૂવા પડવા એ એક મહાબીમારી બની ગઈ છે. ત્યારે શહેરીજનો ત્રસ્ત થયા હતા. તેમને વીટીવી સમક્ષ તેમની વ્યથા ઠાલવી હતી.
જ્યાં જુઓ ત્યાં ભૂવા જ ભૂવા
શહેરમાં એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યાં રોડ પર ભૂવો નહીં પડ્યો હોય. આ દ્રશ્યોમાં જે ભૂવા દેખાઈ રહ્યા છે તે શહેરના સારા એવા વિસ્તાર કહેવાતા બોપલનો છે. જ્યાં પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. ત્યારે શહેરીજનો કહી રહ્યા છે કે શું અમે આ ભૂવાઓ માટે ટેક્ષ ભરીએ છીએ ? શું અમે અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે ટેક્ષના રૂપિયા આપીએ છીએ ?
અમદાવાદ કે `ભૂવાવાદ' ?
અમદાવાદમાં આ થઇ શું રહ્યું છે? થોડા વરસાદમાં કેમ ભૂવા પડે છે? શું આ ભ્રષ્ટાચારના ભૂવા છે? શું દર વર્ષે જનતાએ સહન કરવાનું? આમ જનતાના ટેકસના પૈસે કોણ તાગડધિન્ના કરી રહ્યું છે? અમદાવાદ નગરીને ભૂવા નગરી કોણ બનાવી રહ્યું છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાકટોરની મીલિભગતના આ ભૂવા સાબીતી છે? અમદાવાદના શહેરીજનોને શું માત્ર સહન જ કરવાનું? કેમ કોઇ અધિકારીઓને ડીસમીસ કરીને જવાબદાર નથી ઠેરવાતા? શું આ ભૂવા ભ્રષ્ટાચારના કારણે પડતા હશે? અમદાવાદમાં 4 ઇંચમાં રસ્તાઓ બ્લોક થાય અને ભૂવા નગરી બને તો આયોજન ક્યાં ગયું? પ્રિમોન્સૂનની મીંટિગોનું શું થયું? શું બિસ્કિટ સાથેના નાસ્તા અને ચા પૂરતી જ પ્રિમોન્સૂનની મીંટિંગો હશે?