સી.આર પાટીલે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં કેસ કરવાની ચીમકી મુદ્દે જવાબ આપ્યો કે, ભાજપ ડરતું નથી, સવાલ કરવાની જગ્યાએ મદદ કરવી જોઈએ
સી.આર. પાટીલનો કોંગ્રેસને જવાબ
કોંગ્રેસની ધમકીથી ભાજપ ડરતું નથી
કોંગ્રેસ માત્ર આક્ષેપો કરી રહ્યું છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિવેદન આવ્યું છે. કોંગ્રેસ વારંવાર એક સવાલ પૂછી રહી છે કે, રેમડેસિવિરના 5 હજાર ઈન્જેક્શન ભાજપ પાસે આવ્યા કેવી રીતે. અને આ મુદ્દે કોંગ્રેસે કોર્ટના દરવાજા ખખડાવવાની વાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં કેસ કરવાની ધમકી મુદ્દે સી.આર પાટીલે જવાબ આપ્યો છે. પાટીલે કહ્યું, કોંગ્રેસની ધમકીઓથી ભાજપ ડરતું નથી. કોંગ્રેસ માત્ર આક્ષેપો કરી રહ્યું છે. ભાજપના કર્યકર્તાઓ મોતનો સામનો કરે છે. લોકોને બચાવવા માટે ઇન્જેક્શન મદદરૂપ થઈ રહ્યા છે. સવાલ કરવાની જગ્યાએ મદદ કરવી જોઈએ.
શું છે સુરતની સ્થિતિ
સુરતમાં મોટી સંખ્યામાં અગ્નિ સંસ્કારની પ્રક્રિયા બાદ પણ લોકોમાં પરિજનોએ અંતિમ ક્રિયા માટે કલાકો રાહ જોવી પડી રહી છે. કોરોના વાયરસનો ફરી એક વખત કહેર ગુજરાતમાં વધ્યો છે. આ વખતે ગુજરાતમાં હાલત એવી થઈ ગઈ છે કે મૃતકોને રિત-રિવાજો અને સમય પર અંતિમ સંસ્કાર નસીબ નથી થઈ રહ્યાં. અહીં મોતનો આંકડો એટલો છે કે સ્મશાન ઘાટ પર અંતિમ ક્રિયા કરવી મુશ્કેલ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે સતત થઈ રહેલા અંતિમ સંસ્કારને કારણે સ્મશાનની ભઠ્ઠીઓ, ચીમનીઓ પણ પીગળવા લાગી છે. મજબૂત માનવામાં આવતા લોખંડના ઍન્ગલ પણ આકાર બદલી રહ્યાં છે.
ભઠ્ઠીઓ પીગળી ગઈ
રાજ્યમાં સૌથી વધુ ખરાબ હાલત સુરતની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શહેરમાં ત્રણ મુખ્ય સ્મશાન છે. આ જગ્યાઓ પર દિવસભર અગ્નિસંસ્કાર ચાલુ રહે છે. જેના કારણે ભઠ્ઠીઓ પીગળી રહી છે. અહીં દિવસભર મૃતદેહો આવતા રહે છે. સરકારી વાહનો ઉપરાંત પ્રાઈવેટ ગાડીઓ પણ મૃતદેહો લઈને સ્મશાન પહોંચી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર આ દરમ્યાન સૌથી વધુ મૃતદેહો રામનાથ ઘેલા સ્મશાન પર આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં રોજ 100 મૃતદેહો પહોંચી રહ્યાં છે. આટલી મોટી સંખ્યામાં અંતિમ ક્રિયા કરવા માટે ગેસ ભઠ્ઠીઓ 24 કલાક ચાલુ રહે છે. સતત ભઠ્ઠીઓ ચાલુ રહેવાને કારણે ગ્રિલ પણ પીગળી રહી છે.
15 વર્ષથી બંધ સ્મશાન ખોલવું પડ્યું
સુરતમાં સ્મશાનોમાં દરરોજ 8થી 10 કલાક સુધી રાહ જોવી પડી રહી છે ત્યારે 15 વર્ષ જૂના સ્મશાનને ખોલવાની જરૂર પડી છે. સ્મશાનોની પરિસ્થિતિ એવી છે કે સ્મશાનોની બહાર પણ અંતિમ સંસ્કાર કરવાની હાલત ઊભી થઈ ગઈ છે. 24-24 કલાક સુધી સ્મશાનો ચાલુ રાખવા પડી રહ્યા છે.
રાતો રાત બન્યું સ્મશાન
વસલાડમાં અતુલ કંપની પાછળ રાતો રાત સ્મશાન ઊભું કરી દેવામાં આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોનો દાવો છે કે આ સ્મશાન કોવિડના દર્દીઓ માટે ઊભું કરવામાં આવ્યું અને રાત્રિ દરમિયાન દર્દીઓના અંતિમ સંસ્કાર કરાતા હોવાનો આક્ષેપ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો.