ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે રાજકીય પાર્ટીઓ એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. તેવામાં આજે મહેસાણામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. આજે સી આર પાટીલે વિજાપુરમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સૂત્ર છે કે, કે અમારું કામ બોલે છે. પણ જ્યારે અમે એમના પેઈન્ટરને પૂછ્યું તો કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. આ સાથે પાટીલે આપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચોમાસાના દેડકાની જેમ નવી પાર્ટી આવી છે. એ કહે છે કામ આપીશ નહિ તો 3000 પેન્શન આપીશ. પાટીલે આપ ઉપર આકરાપ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તમે યુવાનોને આળસુ બનાવવા માંગો છો ?
મહેસાણા જિલ્લાની વિજાપુર સીટ ઉપર ભાજપે રમણભાઈ પટેલ (સ્ટારલાઇન)ને ટિકિટ આપી છે. જેને લઈ આજે એક સભામાં પહોંચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષે રીતસરનો કોંગ્રેસ અને આપનો ઉઘડો લીધો હતો. પોતાના નિવેદનમાં પાટીલે જણાવ્યું હતું કે, રમણલાલ બીજી વાર આ સીટ ઉપરથી લડી રહ્યા છે, આ વખતે 50000 થી વધુ લીડ સાથે જીતવાનું છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, એવો રોકોર્ડ બને કે ભવિષ્યમાં કોઈ તોડી ના શકે. દરેક સીટ 50000 થી વધુ લીડથી જીતવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું કહી શકુ કે મોટા ભાગની સીટો એક લાખથી વધુ લીડ થી જીતીશું. એક ચા પીવા જશો તો પણ 200 કે 250 મત તમે અપાવી દેશો. આ સાથે પાટીલે ઉમેર્યું હતું કે, રમણલાલ પટેલ 50,000થી વધુની લીડથી જીતશેએ ચોક્કસ છે.
કોંગ્રેસને લઈ શું કહ્યું ?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ આજે વિજાપુરના ઉમેદવાર રમણ પટેલના સમર્થનમાં રાખેલી સભામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સૂત્ર છે કે, અમારું કામ બોલે છે. પાટીલે કહ્યું હતું કે, જ્યારે અમે એમના પેઈન્ટરને પૂછ્યું તો કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મારે લખવાનું હતું કે કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચાર બોલે છે.
આમ આદમી પાર્ટી પર વરસ્યા પાટીલ
સી. આર.પાટીલે આમ આદમી પાર્ટી પર તંજ કસતા કહ્યું હતું કે, ચોમાસાના દેડકાની જેમ નવી પાર્ટી આવી છે. એ કહે છે કામ આપીશ નહિ તો 3000 પેન્શન આપીશ. પાટીલે પૂછ્યું હતું કે, યુવાનોને આળસુ બનાવવા માંગો છો ? અહીંનો યુવાન પત્થરમાંથી પાણી કાઢે એમ છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, AAP એ જે વચનો આપ્યા એના કુલ 8.5 લાખ કરોડ થાય અને ગુજરાતનું બજેટ જ 2.5 લાખ કરોડ છે. ગુજરાતની પ્રજાને લાલચ કે લોભમાં લાવી ન શકાય. આ ગુજરાત માં રેવડી વાળા નું સ્થાન નથી. આ સાથે પાટીલે જણાવ્યું હતું કે, મહાઠગની ગુજરાતમાંથી ડિપોઝિટ જપ્ત થઈ જશે પ્રોમિસ આપું છું.