અરે ભાઈ અહીં કાનુડો તો નથી પરંતુ ભાજપના પાટીલ ભાઉ છે. જે ઢોલ-નગારાના તાલે કોરોના ફેલાવવા રાહડા રમી રહ્યા છે. ન સોશિયલ ડિસ્ટન્સ, ન માસ્ક, ન કોઈ સાવચેતીના પગલા. પહેલી નજરે એવું લાગે કે, કોઈનો વરઘોડો નીકળી રહ્યો છે. કારણ કે, શણગાર એવો સજ્યો છે. પરંતુ જેમ-જેમ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો રથ નજીક આવ્યો તો જાણવા મળ્યું કે, આ તો વરઘોડો નહીં પરંતુ પાટીલ ભાઉના સ્વાગતની રેલી છે. જ્યાં ન તો મર્યાતા પ્રમાણે 50 લોકો છે કે ન તો કાયદાનું કોઈ પાલન થઈ રહ્યું છે.
ભાજપના નવા પ્રદેશ પ્રમુખની સ્વાગત્ રેલીમાં ઉમટ્યા લોકો
સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા હતા
પાલનપુર, અંબાજી, પાટણમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ
પાલનપુરમાં ભાજપે રેલી જ નહીં પરંતુ બેઠક યોજી હતી. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા હતા. અહીં 200થી 300 લોકો એક હોલમાં ખચોખચ ભર્યા હતા. તો અનેક લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. ભાજપના નેતાઓ અહીં સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે, આ રાજ્યમાં અમારું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી. અમે તો કોરોના ફેલાવવા નિકળ્યા છે. કાયદો-વ્યવસ્થા અમારી જૂતી બરાબર છે.
પાલનપુર, અંબાજી, પાટણ દરેક જગ્યા પર કોરોના ફેલાવતા ભાજપના આ નેતાઓ અને કાર્યકરોના નાચી રહ્યા છે અને લોકોના ટોળા ભેગા કરી રહ્યા છે. ભાષણો કરી રહ્યા છે અને અહીં તેમને કોઈ રોકનારું નથી.
પાલનપુર અને અંબાજીમાં તો સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપના નેતાઓએ કોરોના ફેલાવવાનું ષડયંત્ર રચ્યું છે. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપના જ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેવામાં હવે મધ્ય ગુજરાતમાં કોરોના ફેલાવવાની રેલીઓ શરૂ કરી છે. આવું અમે નહીં પરંતુ વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે?
શું કાયદો ભાજપના આ નેતાઓને લાગુ નથી પડતો?
સવાલ આજે કાયદો અને વ્યવસ્થા પર ઉઠી રહ્યા છે. કારણ કે, અહીં કોર્ટના આદેશ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, કોર્ટ જનતા માટે નિયમો બનાવે છે તો શું નેતાઓને નિયમ નથી લાગુ પડતા? શું કોર્ટને કોરોના ફેલાવતા આ નેતાઓની રેલીઓ નથી દેખાતી? શું રૂપાણી સરકારે તેના નેતાઓને કોરોના ફેલાવવાની છૂટ આપી છે? જનતા લગ્ન યોજે તો જેલ કરો છો. હવે આમને કોણ જેલમાં નાખશે? ક્યાં ગયા આમ જનતા પર રૂઆબ બતાવનારા પોલીસ અધિકારીઓ? શું રાજ્યના મુખ્યમંત્રીથી પણ ઉપર છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? કોણે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને રેલીઓનો છુટ્ટોદોર આપ્યો છે ? આ સવાલો આજે જનતા વતી વીટીવી પુછી રહ્યું છે. જેનો આ રાજ્યની સરકારે અને ન્યાય પાલીકાઓએ જવાબ તો આપવો જ પડશે. નહીતર હવે એ દિવસો પણ દૂર નથી જ્યારે જનતા ખુદ પોતાના હાથમાં કાયદો લેશે.