થોડા દિવસ અગાઉ જ રાજકોટ શહેર ભાજપ સ્નેહમિલનમાં મંચ પરના બોલાચાલી બાદ વિવાદ થયો હતો. ત્યારે હવે રાજકોટમાં ભાજપના હોર્ડિંગને લઇને પણ વિવાદ શરૂ થયો છે.
સી.આર પાટીલના આગમન અગાઉ ભાજપમાં હોર્ડિંગવૉર
ભાજપ નેતાઓ વચ્ચે આંતરિક હોર્ડિંગ વૉર શરૂ થયાની ચર્ચાઓ
શહેર ભાજપના આગેવાનોની હોર્ડિંગમાંથી બાદબાકી
રાજકોટમાં હવે દિવસેને દિવસે ભાજપનો આંતરિક વિખવાદ વધી રહ્યો છે. અંદરો અંદર બે જૂથો વચ્ચે વિખવાદ સર્જાયો હોય તેવી માહિતી સામે આવી છે. તેવામાં હવે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આગમન પહેલા ભાજપ નેતા વચ્ચે આંતરિક હોર્ડિંગ વૉર શરૂ થયું છે. જેમાં સાંસદ રામ મોકરિયા અને કશ્યપ શુક્લના પોસ્ટરથી વિવાદ વધ્યો છે. શહેર ભાજપના આગેવાનોની હોર્ડિંગમાંથી બાદબાકી કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓની બાદબાકી કરાતા રાજકારણ ગરમાયું છે. ભાજપ સાંસદ અને પૂર્વ કોર્પોરેટરના જ બેનરો લાગતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
આ અગાઉ આમંત્રણ પત્રિકામાં નામોની બાદબાકીનો વિવાદ
મળતી માહિતી અનુસાર, આગામી 20 નવેમ્બરના રોજ યોજાનારા સ્નેહમિલનમાં જનસંઘથી ભાજપ સુધીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હોવાનું ચર્ચાયું છે. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો. તો આ અગાઉ રાજકોટમાં 15 નવેમ્બરના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મોટા નેતાના નામ જોવા નહીં મળતા વિવાદ થયો હતો.
કોઇ પણ જગ્યાએ કોઇ જૂથવાદ નથીઃ પાટીલ
2 દિવસ અગાઉ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ CM રૂપાણી અને MLA ગોવિંદ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મામલે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું નિવેદન આપ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે કોઇપણ જગ્યાએ કોઇ જૂથવાદ નથી. જે પણ છે, તે વ્યક્તિગત મુદ્દા હશે. આ તમામ પ્રશ્નોને શોર્ટ આઉટ કરવામાં આવશે. કોઇપણ ટિપ્પણી કોઇની સામે ન કરે તેવી સૂચના આપી છે.