ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા પહેલા પ્રતિક્રિયાનો દોર ચાલુ થઇ ચૂક્યો છે.
નરેશ પટેલે હોળી બાદ રાજકીય પ્રવેશ અંગે ખબર પડશે તેવું નિવેદન આપ્યું હતું
નરેશભાઈ સાથે ફોન પર વાતચીત થઇઃ સી.આર. પાટીલ
નરેશભાઇ ભાજપ સાથે રહેશે તેવો આશાવાદ: પૂર્વ સીએમ વિજય રૂપાણી
ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલમાં ચર્ચા પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને લઈને ખુબ ચાલી રહી છે. કે નરેશ પટેલ કોના? ભાજપના.કોંગ્રેસના.કે આમ આદમી પાર્ટીના. તેવામાં નરેશ પટેલ ક્યા રાજકીય પક્ષની નૈયા પાર લગાડશે તેને લઈને પણ સંકેતો મળવા લાગ્યા છે. પણ ન તો નરેશ પટેલ આ મુદ્દે કોઈ કોઈ ફોળ પાડી રહ્યા છે ન કોઈ પક્ષની તરફેણ કરી રહ્યા છે બસ સમાજનું નામ આગળ ધરી પોતાની રાજકીય હિત સાધવા હાલ તો સોગઠા ગોઠવી રહ્યા છે એમ લાગી રહ્યું છે.
નરેશભાઈ ભાજપની સાથે રહેશેઃ CR પાટીલ
નરેશ પટેલ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઈ વર્ષોથી ભાજપના શુભેચ્છક છે. નરેશભાઈ ભાજપની સાથે રહેશે. નરેશભાઈ સાથે ફોન પર વાતચીત થઇ છે. તેમણે કોઇ પાર્ટીમાં જોડાવવા નિર્ણય નથી કર્યો. નરેશભાઈ ભાજપની સાથે રહેશે એવો મને વિશ્વાસ.
નરેશભાઇ ભાજપ સાથે રહેશે તેવો આશાવાદ: પૂર્વ સીએમ વિજય રૂપાણી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાણને લઈ મામલો ગરમાયો છે. ત્યારે નરેશ પટેલનુ રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલને જ પુછવુ પડશે કારણ કે તે તેમનો અંગત નિર્ણય હશે. મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી, હુ માનુ છું નરેશભાઇ PM મોદી અને અમિત શાહ નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે
શું કહ્યું હતું નરેશ પટેલે ?
રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. ભાજપના લોકો આવશે તેની મને ખબર નથી. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ અગામી હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગ ખબર પડશે.
રાજકારણ કરતાં ખોડલધામનુ સ્તર ઉંચુ: કોંગ્રેસ નેતા મનહર પટેલ
ખોડલધામના નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ મામલો ચર્ચામાં ત્યારે વધુ એક કોંગ્રેસ નેતા મનહર પટેલે પટેલ સમાજના મોભીઓના નામે પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે રાજકારણ કરતા ખોડલધામનુ સ્તર ઉંચુ છે. પાટીદાર સમાજના રાજકીય સ્તર નીચુ ગયુ તેવો પણ પત્રમાં ઉલ્લેખ છે. ગુજરાતમાં પટેલ સમાજ અનેક પડતર પ્રશ્નોથી પીડાય છે. આગેવાનોના બળથી મેળવેલ સત્તા સમાજને પરેશાની આપે છે તેવી સમજાવટ પણ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે સત્તામાં બેઠેલા સમાજના નેતાઓ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ પણ તે નિષ્ફળ રહ્યા છે, સમાજના મોભીઓ સરકારના સમર્થન હોય તો તેમના માટે કલંક છે. નરેશ પટેલ રાજનીતિમાં આગળ આવે તે અનિવાર્ય છે. રાજકારણમાં આવતા રોકતા મોભીઓ સલાહ દે તે ઠીક નથી તેમણે ડર લાગી રહ્યો છે.
નરેશ પટેલે રાજકરણમાં આવવું જોઇએ: સીકે પટેલ
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા પહેલા પ્રતિક્રિયાનો દોર ચાલુ થયો છે ત્યારે પાટીદાર અગ્રણી સી કે પટેલે નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલનો રાજકરણમાં જોડાવા માટે અંગત મત હોઇ શકે છે. તેમાં પણ કોંગ્રેસમાં જોડાવું કે ભાજપમાં તેમની ઈચ્છા પર નિર્ભર કરે છે. નરેશ પટેલ રાજકરણ જોડાવા અંગે કોઇ વાંધો ન હોય તેમણે રાજનીતિમાં પગ મૂકી દેવો જોઈએ. તેમણે દાવા સાથે એ પણ કહ્યું હતું કે નરેશ પટેલ જે પક્ષમાં જાય તે પક્ષને ચોક્કસ ફાયદો થાય તેમાં બે મત નથી. ભાજપના નેતાએ (દિલીપ સંધાણી)એ કરેલી કોમેન્ટ અંગે મારે કાંઇ કહેવું નથી.
નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? : સંઘાણી
નરેશ પટેલ રાજકરણમાં જોડાવા અંગે ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેઓ વારંવાર સમાજ કહેશે તો રાજકરણમાં આવશે એવી વાતો કરી રહ્યા છે. આ વાતોને લઇને આજે ઇફ્કોના વાઇસચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિલીપ સંઘાણીએ નરેશ પટેલને કેટલાંક સવાલો કર્યા હતાં જેમાં મુખ્ય સવાલ એ હતો કે સમાજ કહેશે, તો સમાજની વ્યાખ્યા શું ? નરેશ પટેલે પણ 2 દિવસ પહેલાં પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેઓ હજુ પણ સમાજ કહેશે તો રાજકરણમાં આવીશ એવી વાતો કરી રહ્યા છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકરણ કરવા માટે સમાજ હાથો કેમ?
દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યુંઃ અલ્પેશ કથીરીયા
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવા મામલે વાતાવરણ ગરમાયું ચૂક્યું છે ત્યારે દિલીપ સંઘાણીના નિવેદન સામે અલ્પેશ કથીરીયા સામે વળતો જવાબ આપતા કહ્યું છે કે દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યું છે પોતે ચૂંટણી હારી રહ્યા છે એના પર ધ્યાન આપે નહી કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ પર.
નરેશ પટેલ પર દિલીપ સંઘાણીએ આપેલા નિવેદન પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા
ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે.તેઓ માત્ર પાટીદાર સમાજના નહી સમગ્ર સમુદાયના નેતા છે. રાજનીતિમાં કોને આવવું કોને ન આવવું કઈ પાર્ટીમાં જવુ કે કઈ પાર્ટીમાં ન જવું તેઓનો વ્યક્તિગત નિર્ણય છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું કે, દિલીપભાઈ સાંઘણી જે નિવેદન આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક સમાજને દ્રોહ કરતું નિવેદન છે. નરેશભાઈને કઈ પાર્ટીમાં જોડાવવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે દિલીપ સંઘાણી જણાવ્યું હતું કે, સમાજના નામે રાજકારણ બંધ કરવું જોઈએ
ભૂપેન્દ્ર પટેલ પટેલ સાથે કરશે બેઠક
અનેકવાર નરેશ પટેલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. નરેશ પટેલ રાજકારણની શરૂઆત કરશે કે કેમ તે અંગે અટકળો તેજ થઇ છે. મહત્વના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નરેશ પટેલ બેઠક કરશે. કેસ પાછા ખેંચવામાં આવશે કે કેમ તેને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે, અને નરેશ પટેલ તેમનું રાજકારણનું સ્ટેન્ડ લઈ શકે છે.
ક્ષત્રિય આગેવાન દિગ્વિજયસિંહ પરમારે નરેશ પટેલનું કરી મુલાકાત
તો આ તરફ અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખે પણ નરેશ પટેલની મુલાકાત લીધી હતી. આથી મુદ્દો ચર્ચાયો હતો. અને નરેશ પટેલના રાજકીય પ્રવેશ પૂર્વે મુલાકાત અનેક અટકળો સર્જાઇ હતી. પરંતુ દિગ્વિજયસિંહ પરમારે આ મુલાકાતને રાજકીય રંગ ન અપાવા જણાવ્યુ હતું. તેમજ નરેશ પટેલે કઇ પાર્ટીમાં જોડાવવું તે તેમનો નિર્ણય છે તેમ જણાવ્યુ હતું.
કોંગ્રેસ સીએમ ચહેરા તરીકે કરી શકે પ્રમોટ?
તો આ બાજૂ મહત્વના સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે હોળી બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા તરીકે નરેશ પટેલને પ્રમોટ કરી શકે છે. કોંગ્રેસ જીતે તો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપી શકે છે. અગાઉ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલની બે વાર બેઠક થઇ છે.
AAP પાર્ટીએ આપ્યું છે ખુલ્લુ આમંત્રણ
આ પર AAP પાર્ટી તરફથી પણ નરેશ પટેલને આમંત્રણ મળ્યાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. અગાઉ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ નથી.