સુરત ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ભાજપ દ્વારા રેમડેસિવિર વિતરણ મામલો
એફિડેવિટ કરવા HCએ આપ્યો સમય
સી આર પાટીલે ફાઈલ કરવુ પડશે એફિડેવિટ
વધુ સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરાશે
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસમાં રાહત મળી રહી છે, પરંતુ જ્યારે મહામારીની બીજી લહેર પીક પર હતી ત્યારે દેશમાં ઑક્સીજનથી લઈને ઈંજેક્શન ખૂટી પડ્યા હતા. એવામાં ઘણા દિવસ સુધી ગુજરાતના અસંખ્ય લોકો રેમડેસીવીર ઈંજેક્શન માટે રઝળી પડ્યા હતા. એક બાજુ ઈંજેક્શનની અછત હતી એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલે ફ્રીમાં ઈંજેક્શન આપ્યા હતા. જે બાદ ખૂબ મોટો વિવાદ પણ ઊભો થયો હતો. કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ ગયા છે પરંતુ આ વિવાદ પાટીલનો પીછો છોડે તેવું દેખાઈ રહ્યું નથી.
હાઈકોર્ટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને આપ્યો સમય
સુરત ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર,પાટીલને એફિડેવિટ કરવા માટે 4 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આ મામલે આગામી મુદતમાં પાટીલે હાઈકોર્ટમાં એફિડેવિટ કરવું પડશે.
આગામી મુદતમાં પાટીલે HCમાં ફાઈલ કરવુ પડશે એફિડેવિટ
આ સમગ્ર મામલે વધુ સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન રાજ્યમાં પરિસ્થિતિ વણસી હતી. આ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓ રેમડેસિવિર ઈન્જેક્શન માટે હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા હતા. ત્યારે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ વિવાદ સર્જાતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું છે મામલો ?
સુરત ભાજપ કાર્યાલયમાં રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરાયું હતું વિતરણ
રેમડેસિવિરની અછત વચ્ચે વિતરણ કરતા સર્જાયો હતો વિવાદ
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે હાઈકોર્ટમાં કરી હતી અરજી
અરજી પર સુનાવણી હાથ ધરતા HCએ પાટીલ પાસે માગ્યો હતો ખુલાસો
કોરોના વાયરસની બીજી લહેરમાં રેમડેસિવિરની સર્જાઈ હતી અછત