કોમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી)ને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને કારણે નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય દરજ્જા પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને કારણે પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવવો પડી શકે છે. આ કારણે હવે પાર્ટીની સંસદ ભવનની ઓફિસ પણ છીનવાઇ શકે છે.
પાર્ટીની બેઠકોમાં ઘટાડાને પગલે સીપીએમનું સસંદ ભવન સ્થિત ઓફિસ નંબર 135 પાર્ટી પાસેથી પાછું લઇ શકાય તેમ છે. આ ઓફિસ ઘણા દાયકાઓથી સીપીએમ પાસે હતી. આ ઉપરાંત પાર્ટીના મહાસચિવ દિગ્ગજ નેતા સીતારામ યેચૂરી પણ સંસદમાં નહીં જોવા મળે. પાર્ટી પહેલાથી જ ત્રીજા કાર્યકાળ આપવાથી ઇનકાર કરી ચૂકી છે.
સીપીએમ પાર્ટીના નિયમ મુજબ, કોઇ પણ પાર્ટીના નેતા બેથી વધુ વાર ઉપલા ગૃહમાં સદનનો સભ્ય ચૂંટાઇ શકે નહીં. સીપીએમે આ વખતે લોકસભામાં માત્ર 3 બેઠક જીતી છે. પાર્ટીના રાજ્યસભામાં વર્તમાનમાં 5 સભ્ય છે.
વર્ષ 2014માં પાર્ટી પાસે 9 બેઠક હતી. એ સમયે જ પાર્ટી પાસેથી ઓફિસ છીનવાઇ જવાનો ખતરો મંડરાઇ રહ્યો હતો. પરંતુ દિગ્ગજ નેતા સીતારામ યેચૂરીને કારણે આમ થઇ શક્યું નહોતું. આ વખતે પાર્ટી પાસે સીતારામ યેચૂરીના કદનો કોઇ નેતા નથી.