ગલવાન ઘાટીમાં ભારત -ચીનની સેનાની વચ્ચે હિંસક ઝડપ ચીનની નક્કી કરેલી ચાલ હતી. આ વિસ્તારોમાં ભારતીયોની ચોક્કસ સંખ્યા જાણવા માટે ચીની સૈનિકોએ થર્મલ ઈમેજિંગ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ કારણ હતું કે હુમલામાં ભારતીય સૈનિકોની સંખ્યા ચીનીઓ સામે ઓછી પડી.
ચીનની વધુ એક શરમજનક હરકત
થર્મલ ઈમેજિંગ ડ્રોનના ઉપયોગથી જાણી ભારતીય સૈનિકોની સંખ્યા
ચીનીઓ સામે ઓછી પડી ભારતીય જવાનોની સંખ્યા
ભારતીય અને ચીની જવાનો વચ્ચેની બોલચાલ જાણે ચીન દ્વારા પ્લાન કરવામાં આવી હતી. સંપૂર્ણ તૈયારી કરી લીધા બાદ ચીની સૈનિકો ભારતીય સૈનિકો સાથે વાકયુદ્ધમાં જોડાયા અને પછી તેમની પર પથ્થરોનો મારો ચાલુ કર્યો. પૂર્વ તૈયારી સાથેના ચીની સૈનિકોએ તાર લાગેલા રોડ અને પથ્થરોથી હુમલો કર્યો હતો.
ભારતીય સૈનિકોને ચીનની ચાલનો અંદાજ ન હતો
જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે ચીની સૈનિકોની તુલનામાં ભારતીય જવાનોની સંખ્યા 5 ગણી વધુ હતી. સૂત્રોના અનુસાર ભારતીય સૈનિકોને ચીનની ચાલનો અંદાજ ન હતો અને તેઓ છેલ્લે સુધી લડ્યા. ચીને દગા સાથે પેટ્રોલિંગ પોઈન્ટની 14 ભારતીય ટુકડીને નિશાન બનાવી હતી. અંદાજે છથી સાત કલાક ચાલેલી આ ઝપાઝપીમાં શૂન્યથી નીચેના તાપમાનમાં ભારતીય સૈનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
14 હજાર ફૂટની ઉંચાઈ, શૂન્યથી નીચે તાપમાન
સોમવારે બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયેલી ગલવાન વેલી એ વિશ્વનું સૌથી મુશ્કેલ યુદ્ધ ક્ષેત્ર છે. આ અથડામણની જગ્યા પૃથ્વીની સપાટીથી 14,000 ફૂટ ઉપર છે. ઉનાળામાં પણ આ પ્રદેશનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગલવાન વેલીનું તાપમાન માઇનસ 20 ડિગ્રી સુધી પહોંચે છે.
સમયસર ન મળી શકી સારવાર, ભારતીય સૈનિકોને શોધવામાં પડી મુશ્કેલી
આ અથડામણમાં ગોળીઓ ચાલી ન હતી. ચીની સેનાએ કાંટાળા સળિયા અને પથ્થરોથી હુમલો કર્યો. આમાં ઘાયલ થયેલા ઘણા સૈનિકોએ શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાન અને સમયસર તબીબી સહાયના અભાવમાં દમ તોડી દીધો હતો. આ સાથે દુર્ગમ ક્ષેત્ર હોવાના કારણે ઝડપ સમયે ખોવાયેલા સૈનિકોને શોધવામાં પણ સમય લાગ્યો હતો. આ યુદ્ધ મેદાની ક્ષેત્રમાં થયું હોત તો ઘાયલ થયેલા સૈનિકોની સંખ્યા ઓછી હોત.
ખાસ કિટ બચાવે છે સૈનિકોનો જીવ
આ દુર્ગમ અને મુશ્કેલ ક્ષેત્રમાં એક વિશિષ્ટ પ્રકારની અત્યાધુનિક કીટ સૈનિકોને હવામાન અને તાપમાનથી સુરક્ષિત કરે છે. આ વિશેષ કીટમાં થર્મલ ઇન્સોલ, ગોગલ્સ, સ્લીપિંગ કિટ્સ, કુહાડીઓ, બૂટ, હિમપ્રપાત ડિટેક્ટર્સ અને પર્વતારોહક એસેસરીઝ શામેલ છે.
નુકસાનને લઈને ચીને સાધી ચુપકીદી
આ અથડામણમાં થયેલા નુકસાન અંગે ચીન મૌન છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે એલએસી ઉપર ભવિષ્યમાં આવી ટક્કર ઈચ્છતા નથી. આ અથડામણ બાદ ચીને પણ સૈનિકોના નુકસાનની વાત સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં ચીની સેનાના કમાન્ડિંગ ઓફિસર સહિત 40 જવાન મૃત્યુ પામવાના સમાચાર મળ્યા છે.