૧૪મી એપ્રિલે દાણીલીમડાના એક પરિવારમાં જયારે ૧૫ લોકો કોરોના પોઝીટીવ સામે આવ્યા ત્યારે હાહાકાર મચી ગયો. આ પરિવારના ૪ બાળકો જેઓ નેગેટિવ હતા તેમણે પણ કોઈ વિકલ્પ ન હોવાથી તેમના કોરોના પોઝીટીવ પરિવારજનો સાથે રહેવું પડતું હતું. આ મુદ્દે VTVGujarati.com દ્વારા સમાચાર પણ પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. જો કે હવે એવી દુઃખદ પરિસ્થિતિ સર્જાઈ છે કે એ ૪ બાળકોમાંથી ૧ બાળકને કોરોના પોઝીટીવ આવ્યો છે.
સરકાર અને તેનું તંત્ર જો તકેદારી ન રાખે તો કેટલી દુઃખદ ઘટના બની શકે તેનો આ સૌથી મોટો કિસ્સો કહી શકાય તો નવાઈ નહીં. પરિવારના 4 બાળકો જેમને કોરોનાનો ચેપ નહોતો લાગ્યો તેમને પરિવારથી દૂર રાખવામાં સરકાર કંઈ ન કરી શકી તેનાથી ખરાબ હાલત શું હોઈ શકે? આ બેદરકારીને પગલે યોગ્ય સમયે તેમને ચેપગ્રસ્ત પરિવારથી 5 વર્ષની બાળકીને દૂર રાખવાની કોઈ વ્યવસ્થા ન થતાં આખરે તે કોરોના પોઝિટિવ થઈ ગઈ.
૫ વર્ષીય બાળકી સદાબ સતત સિવિલના કોવિડ ૧૯ વોર્ડમાં તેના કોરોનાગ્રસ્ત પરિવાર સાથે રહેતી હતી. તેમના પરિવારજનોએ આ જ સૌથી મોટી ચિંતા હતી જે દુ:સ્વપ્ન હવે હકીકતમાં ફેરવાઈ ગયું છે. અને હવે આ માસૂમ આખરે કોરોના પોઝિટિવ થઈ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 17, 2020
17 એપ્રિલે VTVGujarati.com દ્વારા આ સમાચાર પ્રસારિત કરાયા હતા જેમાં આ પરિવારની સૌથી મોટી સમસ્યા અમે રજૂ કરી હતી. પરિવારના 4 બાળકો જેઓ સ્વસ્થ હતા તેમને પરિવારના 10 સભ્યો જે કોરોના પોઝિટિવ હતા તેમની સાથે રહેવા મજબૂર હતાં. જો કે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ તેમને અલગ રૂમની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાવવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી કરવામાં તંત્ર અને સરકારે ઘણું મોડું કરી દીધું તેમ કહેવાય. કારણ કે સદાબને ગઈ કાલે કોરોના પોઝિટિવ હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.
સરકાર અને તંત્રને સામાન્ય માણસની તકલીફ કેમ નથી દેખાતી?
મહત્વનું છે કે આ પ્રકારના કેસમાં સરકાર પાસે આ સમસ્યાનો કોઈ હલ જ નથી જેને કારણે આ માસૂમ કોરોના પોઝિટિવ થઈ. પરિવારે અગાઉ આરોપ મૂક્યો હતો કે અમે ઘણી વખત પહેલાં રજૂઆત કરી હતી કે અમારા બાળકોને દૂર રાખવા માટે કોઈ વ્યવસ્થા કરી આપે પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નહોતું. ત્યારે સવાલ થાય છે કે જે તંત્ર ટૂંક સમયમાં સૌથી મોટું કોવિડ સેન્ટર ઊભું કરવાનો દાવો કરી શકતું હોય તે તંત્ર આ 4 બાળકો માટે અલગથી કોઈ વ્યવસ્થા ન કરી શકી?
સિવિલમાં દર્દીઓ ત્રાહિમામ
અમદાવાદ સિવિલ અગાઉ પણ દર્દીઓ પ્રત્યેની બેદરકારીને લઈને પંકાઈ ચૂકી છે. હાલમાં જ મોડી રાત સુધી સિવિલની બહાર કોરોના દર્દીઓને રઝળવું પડ્યું હતું જેમાં મીડિયામાં વીડિયો બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઉપરાંત ઘણા દર્દીઓએ વીડિયો બનાવીને સિવિલ હોસ્પિટલની પોલ ખોલી નાંખી હતી. આવામાં સવાલ એ થાય છે કે શું ખરેખર સંવેદનશીલ સરકારને આ મહામારીમાં સામાન્ય પ્રજા પ્રત્યે કોઈ સંવેદનશીલતા છે ખરી?
આવા બાળકોને રાખવા માટે સિવિલમાં કોઈ સુવિધા નથી
જયારે આ પરિવાર સિવિલમાં દાખલ થયો ત્યારે ડોકટરોએ તેમને સુચના આપી હતી કે આ બાળકોને દાખલ ન થવા દેવાય. જો કે કોઈ છૂટકો ન હોવાથી આ બાળકોએ સાથે જ રહેવું પડતું હતું. આ મુદ્દો મીડિયા દ્વારા પ્રકાશિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખરે ૧ વર્ષીય ઝૈદ અને ૧.૫ વર્ષીય ઇનાયાને કેમ્પસના નર્સિંગ રૂમમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા. અહીં આ બાળકો માટે એક નર્સ અને એક કેર ટેકરની સુવિધા આપવામાં આવી છે. નોંધનીય છે કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમના ઉપર સંક્રમણનું જોખમ વધારે રહે છે.
અધિકારીઓએ શું કહ્યું?
કલેકટર K K નિરાલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે આ બાળકીને પરિવારની સાથે જ દિવસો પહેલા સંક્રમણ થઇ ગયું હોય પણ અત્યારે તેને લક્ષણો દેખાયા હોય અને તેનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય તેવી પૂરી શક્યતા છે. નોંધનીય છે કે સંક્રમણના ભયથી હોસ્પિટલે બંને માતાઓ કુલસુમ અને સાજીદાને અત્યારે તેમના નાના બાળકોને ધાવણ કરાવવાની ના પાડી છે. તેમને અત્યારે હોસ્પિટલમાંથી દૂધ આપવામાં આવે છે.
આ મુદ્દે IAS અધિકારી અને સિવિલ હોસ્પિટલ અસારવાના ઇન્ચાર્જ મિલિન્દ તોરવણેએ સ્વીકાર્યું હતું કે એક બાળકને શિફ્ટ ન કરવાને કારણે તેને કોરોના થઇ જાય એ અત્યંત ગંભીર મામલો છે અને અત્યારે ડેવલપ કરેલી સિસ્ટમમાં ઘણી સમસ્યાઓ પણ છે. પરંતુ સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ ખાતા સાથે સંકલન કરીને હંગામી ધોરણે 24 કલાક ખુલ્લા રહેતા એવા બાળઘરો બનાવી શકાય જ્યાં આવા બાળકોને રાખી શકાય.