કોરોના મહામારીના જોખમ વચ્ચે રશિયાથી સારા સમાચાર સામે આવ્યા છે. આ અઠવાડિયાથી કોરોના વાઈરસની વેક્સિન સ્પુતનિક-વી જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ૧૧ ઓગસ્ટના રોજ આ રસી લોન્ચ કરી હતી.
રશિયન એકેડેમી ઓફ સાયન્સના ડેપ્યુટી ડાયરેક્ટર ડેનિસ લોગુનોવએ જણાવ્યું કે, સ્પૂતનિક-વી રસીને આરોગ્ય મંત્રાલયની મંજૂરી બાદ વ્યાપક ઉપયોગ માટે છૂટ અપાશે. મંત્રાલય આ રસીના ટેસ્ટ થોડા દિવસમાં શરૂ કરવા જઈ રહ્યું છે અને અમે જલદી તેની મંજૂરી મેળવી લઈશું. ઉલ્લેખનીય છે કે, આ રસીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે રશિયાનાં સંરક્ષણ મંત્રાલય સાથે મળીને એડેનોવાઈરસને બેઝ બનાવીને તૈયાર કરી છે.
લોગુનોવે કહ્યું કે, નાગરિકોના ઉપયોગ માટે રસીના બેચને અધિકૃત કરવાની એક પ્રક્રિયા છે. રસીએ મેડિકલ વોચડોગની ગુણવત્તા તપાસ પણ પાસ કરવી પડશે. ૧૦થી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે અમારે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેઝને બહાર પાડવા માટેની મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ અમે રસીને નાગરિકો માટે બહાર પાડવાની સ્થિતિમાં હોઈશું. રસીનું વિતરણ રશિયન આરોગ્ય મંત્રાલયની દેખરેખમાં કરવામાં આવશે.
એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. જે વધુ જોખમવાળા સમૂહમાં આવે છે
લોગુનોવે કહ્યું કે, રસીનાં વિતરણમાં એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. જે વધુ જોખમવાળા સમૂહમાં આવે છે. દરમિયાન, હાલમાં જ લોન્ચ કરવામાં આવેલી રશિયાની કોરોના વેક્સિનના સપ્લાય અને ઉત્પાદનને લઈને ભારત અને રશિયાની વચ્ચે અનેક સ્તરોની વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ વેક્સિન ભારતને મળી શકે છે.
ભારતમાં રશિયાની રાજદૂત નિકોલેય કુશાદેવે જણાવ્યું કે, આ વાતચીત હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ મુજબ રશિયાએ ભારતની સાથે સ્પુતનિક-વીને લઈને સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે.