કોરોના ત્રીજા વર્ષમાં કરી ચૂક્યો છે પ્રવેશ. શું આ કોરોનાનું છેલ્લુ વર્ષ હશે ?
વર્ષ 2022માં કોરોનાનો આવી શકે છે અંત
પરંતુ WHOએ મૂકી છે એક શરત
વેક્સિનની અસમાનતા દૂર કરો
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમાં પણ હવે કોરોનાનો નવો વેરિયેન્ટ ઓમીક્રોનના કેસમાં પણ વધારો થયો છે. આ તમામ વચ્ચે WHOના ડાયરેક્ટરને વિશ્વાસ છે કે વર્ષ 2022માં કોરોના મહામારીનો અંત થશે.WHOના પ્રમુખ ડૉ.ટેડ્રસ અધનોમનું કહેવુ છે કે કોરોનાનું આ છેલ્લુ વર્ષ હોઇ શકે છે પરંતુ સાથે એક શરત પણ જણાવી છે. તેમણે જણાવ્યુ કે જો વિકસિત દેશો પોતાની વેક્સિન અન્ય દેશો સાથે શેર કરશે તો આમ થવાની શક્યતા છે.પરંતુ સંકુચિત રાષ્ટ્રવાદ અને વેક્સિન જમાખોરો આમ કરવામાં બાધારૂપ બની શકે છે
વેક્સિનની અસામનતા હટાવો-WHO
તેમણે વધુમાં એમ પણ કહ્યુ કે કોરોના વાયરસ ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે.ડૉ. ટેડ્રસે કહ્યું કે વેક્સિનની અસમાનતાએ જ ઓમીક્રોન વેરિયન્ટને જન્મ આપવા માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે. વેક્સિનની અસમાનતા જેટલી વધુ રહેશે તેટલુ જ કોરોના વાયરસ વિકસિત થવાનું જોખમ વધતુ રહેશે. જેને આપણે નજરઅંદાજ ન કરવુ જોઇએ.
વેક્સિન લેવામાં કેટલાક દેશો પાછળ
હાલના આંકડા જણાવી રહ્યા છે કે દુનિયાના ઘણા ભાગો વેક્સિન લેવા અંગે પાછળ છે. બુરંડી, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોન્ગો,ચાડ અને હૈટી જેવા દેશોમાં સંપૂર્ણ રીતે વેક્સિનેટ થનારા માત્ર એક ટકા જ લોકો છે. જ્યારે ધનવાન દેશોમાં આ આંકડો 70 ટકાથી પણ વધુ હોવાની સંભાવના છે. ડૉ.ટેડ્રસે જણાવ્યુ કે આ અસમાનતા દૂર કરીશુ તો જ આપણે એક સામાન્ય જીવનમાં પાછા ફરવાની કલ્પના કરી શકીશું. વધુમાં જણાવ્યુ કે ગ્લોબલ વેક્સિન ફેસિલીટી COVAX, WHO અને આપણા સહયોગી દુનિયાભરના લોકો માટે વેક્સિન, ટેસ્ટ અને ઉપાયને સુલભ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. વેક્સિનને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોનો જીવ બચ્યો છે. તબીબો પાસે હવે કોવિડ-19થી બચાવ અને ઉપાય માટે નવી દવાઓ અને મેડિકલ ટૂલ્સ પણ ઉપલબ્ધ છે.
વેક્સિન જ કોરોનાથી બચાવશે
તો દેશભરમાં તેજ ગતિથી ફેલાઇ રહેલા ઓમીક્રોન વેરિએન્ટને લઇને ડૉ.ટેડ્રસે જણાવ્યુ કે હાલના આંકડા જણાવી રહ્યા છે કે કોવિડ-19ના 80 ટકાથી વધુ કેસ એવા છે જેઓને બુસ્ટરડોઝ આપવામાં આવ્યો નથી. યૂકે હેલ્થ સેક્રેટરી એજન્સી (UKHSA)ના જણાવ્યાનુસાર, હોસ્પિટલમાં દાખલ મ્યુટેંટ સ્ટ્રેનના 815 કેસમાંથી 608ને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો ન હતો. નવા આંકડા જણાવી રહ્યા છે કે બૂસ્ટર ડોઝથી ઓમીક્રોનમાં હોસ્પિટલાઇઝેશનનું જોખમ 88 ટકા સુધી ઓછું થઇ જાય છે.
રસી નહિ લો તો હોસ્પિટલમાં એડમિટ થશો
UKHSAદ્વારા જાહેર કરેલા ડેટા જણાવે છે કે જો તમે વેક્સિનેટેડ નથી તો હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના 8 ઘણી વધારે રહે છે. જેથી જે લોકોએ અત્યાર સુધી એક પણ ડોઝ લીધો ન હોય તેમણે જલ્દીથી વેક્સિન લેવી જોઇએ.