ICMRના નવા સંશોધનમાં ઓમિક્રોનને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે.
ICMRના નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
વેક્સિન લીધી હોય તેને પણ થઇ શકે છે ઓમિક્રોન!
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની હજુ પણ વધારે જરૂરિયાત
ICMRના નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કહેવાયું છે કે, જો કોઇ વ્યક્તિને એક વખત કોરોના થયો હોય અને તેને વેક્સિન પણ લઇ લીધી હોય છતાં પણ તેની ઇમ્યુનિટીમાં એટલી ક્ષમતા નથી હોતી કે તે ખુદને ઓમિક્રોનથી બચાવી શકે. એટલાં માટે સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની હજુ પણ વધારે જરૂરિયાત છે.
મહામારીની ત્રણેય લહેરમાં સંક્રમણની ઝપેટમાં આવ્યો હોય તેવાં કર્મચારી પર સંશોધન કરાયું
જે વ્યક્તિ એક સમયે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો શિકાર થઇ ચૂકી છે અને તેને વેક્સિન પણ અપાઈ ચૂકી છે છતાં પણ તેને ઓમિક્રોનનું જોખમ રહેલું છે. કારણ કે સંક્રમણ અને રસીકરણ બાદ પણ ઓમિક્રોન શરીરની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નવા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. આ સંશોધન એક એવાં આરોગ્ય કર્મચારી પર કરવામાં આવ્યું કે જે મહામારીની ત્રણેય લહેરમાં સંક્રમણની ઝપેટમાં આવ્યો હતો. ICMR ના વૈજ્ઞાનિકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ વિરૂદ્ધ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે પરંતુ તે સમયની સાથે કામ કરતો રહે છે. એવામાં માસ્ક પહેરવું, સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું અને વારંવાર હાથ ધોવાના જેવી આદતો SARS-CoV-2 ના ફેલાવાને રોકવા માટે વિશ્વસનીય શસ્ત્ર છે.
વેક્સિન લીધી હોવા છતાં SARS-CoV-2 થી સંક્રમિત
જર્નલ ઑફ ઈન્ફેક્શનમાં સોમવારે પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ભારતના એક હેલ્થકેર વર્કરના કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે સૌ પ્રથમ SARS-CoV-2 ના પ્રારંભિક સંક્રમણની ઝપેટમાં આવી ગયો હતો અને બાદમાં તે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટથી પણ સંક્રમિત થયો હતો, જ્યારે તેણે કોવિડ વિરોધી દવા લીધી હતી. પુણેના NIV માં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ પ્રજ્ઞા યાદવે જણાવ્યું હતું કે, દિલ્હીના 38 વર્ષીય આરોગ્ય કર્મચારીમાં 9 ઑક્ટોબર 2020 ના રોજ સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ કિસ્સામાં તેને તાવ આવવો, શરીરમાં દુખાવો થવો અને ગળામાં દુખાવાનો સામનો કરવો પડ્યો હતો. આ હેલ્થ વર્કર થોડાં જ દિવસોમાં સ્વસ્થ થઈ ગયો અને પછી તેણે લગભગ 2થી 3 અઠવાડિયા સુધી થાક અનુભવ્યો હતો.
વેક્સિન લીધા બાદ પણ બે વખત કોરોના થયો
અભ્ચાસ અનુસાર, આ સ્વાસ્થ્યકર્મીએ 31 જાન્યુઆરી 2021 ના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો અને ત્રીજી માર્ચના રોજ બીજો ડોઝ લીધો. તેના અનુસાર, અંદાજે એક વર્ષ બાદ સ્વાસ્થ્યકર્મીને નવેમ્બર 2021માં એક વાર ફરીથી સંક્રમણની પુષ્ટિ થઇ. આ દરમ્યાન તેની 2-3 દિવસ સુધી શરીરમાં દુખાવાની ફરિયાદ રહી. જો કે, બાકી અન્ય લક્ષણો નથી દેખાયા. થોડાંક દિવસ બાદ તે ફરીથી સ્વસ્થ થઇ ગયો. ખાસ મહત્વની બાબત એ છે કે એક વાર સંક્રમણની ઝપેટમાં આવ્યા અને સંપૂર્ણ વેક્સિનેટેડ થઇ ગયા બાદ તે સંક્રમિત થઇ ગયો. અભ્યાસ અનુસાર, મહામારીની ત્રીજી લહેર દરમ્યાન તે સ્વાસ્થ્યકર્મી જાન્યુઆરી 2022 માં પણ સંક્રમિત થયો. તેને સાત દિવસ સુધી હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી અને તે સ્વસ્થ થઈ ગયો.
હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નથી પડી
અભ્યાસમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ત્રણ વખત સંક્રમિતની ઝપેટમાં આવ્યા બાદ પણ હેલ્થ વર્કરને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન હોતી પડી અને તેને ઘરમાં જ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી. જીનોમ સિક્વન્સિંગ પૃથ્થકરણમાં જાણવા મળ્યું કે, આ કિસ્સામાં આરોગ્ય કર્મચારી બીજી વખત ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયો હતો અને ત્રીજી વખત પણ તે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયો.