હાલ કોરોના કહેર વચ્ચે એક બાજુ ખાનગી હોસ્પિટલો દ્વારા મસમોટી રકમ ઉઘરાવી અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ એવા લોકો પણ પડ્યા છે કે જેમને વિનામૂલ્યે સેવાનો શમિયાણો શરૂ કર્યો છે.
ભાવનગરના પાલીતાણામાં મોટી પાણીયાળી ગામે એક સેવાભાવી યુવક
કોરોનામાંથી નવી જિંદગી મેળવીને બચી ગયેલા યુવા ડૉક્ટરે સાથે મળી શરૂ કર્યું વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર
દર્દીને દવાથી લઈ જમવા સુધીના તમામ વ્યવસ્થા વિના મૂલ્યે કરાઇ
ભાવનગર જિલ્લામાં હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી ગઈ છે અને બીજી બાજુ ખાનગી હોસ્પિટલો મસમોટા બીલો બનાવી અને દર્દીઓને લૂંટી રહ્યા છે. આવા સંજોગોમાં ગરીબ લોકો સારવાર માટે જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે પાલીતાણા તાલુકાના એક યુવાન ડૉક્ટર અને એક યુવકે ભેગા મળી વિચાર આવ્યો અને માત્ર બે દિવસના સમયગાળામાં 50 બેડની કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ શરૂ કરી દીધી. હોસ્પિટલ શરૂ થતાની સાથે જ કલાકમાં પાંચથી સાત દર્દીઓ પણ ત્યાં સારવાર લેતા થઈ ગયા છે.
કોઈ મોટા ટાયફા વિના જ બેડ ગોઠવાઈ ગયા
પાલીતાણા તાલુકાના વડાળ ગામના યુવક હરેશભાઈ કામળિયાને મનમાં વિચાર આવ્યો કે હાલ કોરોનાના દર્દીઓ આમથી તેમ ભટકી રહ્યા છે. તેમ છતાં તેમને સારવાર મળતી નથી આવા સંજોગોમાં તેઓ તેમના માટે શું કરી શકે ? તે વિચારને લઈને તેમને કોવિડ કેર સેન્ટર ઊભું કરવાનો વિચાર આવ્યો અને તેમણે એક શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થા તરફથી તેમને મોટી પાણીયાળી ગામે ખારો ડેમ પાસે બિલ્ડીંગ મળી ગયું. તંત્ર તરફથી તેમને તાત્કાલિક પરમિશન મળી ગઈ અને સારવાર માટે પાણીયાળી ગામના યુવા ડૉક્ટર પ્રભંજન દુધરેજીયા તેમની સંપૂર્ણ ટીમ સાથે તેમનું ખાનગી હોસ્પિટલ બંધ કરી અને સેવા માટે આ કોવિડ કેર સેન્ટરમાં જોડાઈ ગયા અને ન કોઈ મોટા ટાયફા વિના જ બસ બેડ ગોઠવાઈ ગયા અને દર્દીઓની સારવાર શરૂ થઈ ગઈ.
કોરોનામાંથી નવી જિંદગી મેળવીને બચી ગયેલા યુવા ડૉક્ટરે સાથે મળી શરૂ કર્યું વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર
આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે સેવા આપતા ડૉ.પ્રભંજન દુધરેજિયાએ જણાવ્યું હતું કે તેઓ હાલ જ કોરોનામાંથી માંડ માંડ બચ્યા અને બહાર આવ્યા છે. ત્યારે તેમને પણ વિચાર આવ્યો કે જો મારી જિંદગી બચી છે તો હું હવે આ જિંદગી બીજા માટે કેમ ના ઉપયોગમાં લઉ અને બસ તે વિચાર સાથે તેમને તેમની ખાનગી હોસ્પિટલના તમામ સ્ટાફ આ કોવિડ કેર સેન્ટરમાં સેવામાં લગાડી દીધો અને પોતે પણ ત્યાં તબીબ તરીકે સેવા આપી રહ્યા છે.
એક પણ રૂપિયા વગર તમામ પ્રકારની દવાઓથી માંડી ઓક્સિજન સુધીની વ્યવસ્થા
અહીં આવતા દર્દીઓને એક પણ રૂપિયા વગર તમામ પ્રકારની દવાઓથી માંડી ઓક્સિજન સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, તેમજ તેમની સાથે આવેલા લોકો અને દર્દી માટે સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા આ જ સંસ્થા ખાતે કરવામાં આવી છે.