કોરોના સંકટની મહામારી વચ્ચે ગુજરાત પીસાઈ રહ્યું છે તેવા સમયે વેન્ટિલેટર ‘ધમણ-1’નો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એમ એમ પ્રભાકરે CMને પત્ર લખી ધમણ-1 કોરોનાના દર્દીઓને ઉપયોગી નથી બનતું એવું જણાવ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસે પણ આ વાતના સમર્થનમાં વાત કરી હતી. જો કે આજે ફરી વડોદરાની કોવિડ-19 ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. વિશાલા પંડ્યાએ કહ્યું કે ‘ધમણ-1’ એટલા સારા નથી જેથી હજુ સુધી ઉપયોગમાં લેવાયા જ નથી.
વડોદરાની કૉવિડ 19 ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.વિશાલા પંડ્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ધમણ-1 વેન્ટિલેટર નથી, માત્ર સપોર્ટ સિસ્ટમ છે. ગોત્રી હોસ્પિટલમાં હજી સુધી ઉપયોગમાં નથી લેવાયા. કોંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન આ ખુલાસો કર્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 25, 2020
મહત્વનું છે કે ધમણ-1 વિવાદમાં આવ્યું છે જે સ્વદેશી વેન્ટિલેટર મશીનના મુખ્યમંત્રી વિજય રૂપાણી હિન્દીમાં વખાણ કરી રહ્યા હતા. આ એ જ મશીન છે જેની જાહેરાત માટે દોઢ મહિના પહેલા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જાણીતા ઉદ્યોગતિની સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રીના ગૃહ શહેર રાજકોટની જ્યોતિ CNC કંપનીએ 10 દિવસમાં વેન્ટિલેટર તૈયાર કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ ઉત્સાહભેર તેની માહિતી આપી હતી. જોકે સિવિલના સુપ્રિટેન્ડન્ટનો પત્ર અને કોંગ્રેસના આક્ષેપ બાદ આ સ્વદેશી વેન્ટિલેટર વિવાદમાં આવ્યું. ત્યારે હવે આને લઇને ગુજરાત સરકાર પર ધાનાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે.
ક્યાથી શરૂ થયો વિવાદ?
જોકે, આ વેન્ટિલેટરનું પ્રોડક્શન કોરોના વાયરસના થોડા સમય બાદ શરૂ થયું અને ત્યારબાદ તેની ડિલિવરી કરવામાં આવી હતી. કોવિડ હોસ્પિટલમાં આ વેન્ટિલેટર પણ લગાવાયા હતા. એટલે તે ચર્ચાના વિષયમાંથી બાકાત થવા લાગ્યું હતું. પરંતુ અચાનક 15 મેના રોજ ફરી આ મુદ્દો લાઇમ લાઇટમાં આવ્યો હતો જ્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ એમ.એમ.પ્રભાકરે એક પત્ર લખ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટે પોતાના પત્રમાં લખ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ધમણ-1 અને MGVA વેન્ટિલેટર પુરા પાડવામાં આવ્યા હતા. પરંતુ એનેસ્થેશિયા વિભાગ વડા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ બન્ને વેન્ટિલેટર કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ નથી આપી શકતા. જેથી કોરોનાના દર્દીઓ માટે હાઈએન્ડ ICU વેન્ટિલેટર ફાળવવામાં આવે.
સુપ્રિટેન્ડટના પત્રમાં એવુ સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ મશીન કોરોના વાયરસના દર્દીઓ માટે ધાર્યું પરિણામ નથી આપી શકતા. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની ખુબ ટીકા થવા લાગી. ધમણ ફેઇલ થયું હોવાના આક્ષેપો થવા લાગ્યા. મુખ્યમંત્રીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોવાથી વિપક્ષે પણ પ્રહાર કરવાની આ તક જવા ન દીધી.
પત્ર વાયરલ થયા બાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે ડૉક્ટર પ્રભાકરે કરી હતી સ્પષ્ટતા
પ્રભાકરે સ્પષ્ટતામાં કહ્યું કે, મશીનમાં સુધારા વધારા સુચવી દેવાયા છે. હવે ધમણ 3 વેન્ટિલેટર માર્કેટમાં મુકવાના છે. એટલે કે જવાબ નરોવાકુંજોવા સમાન હતો. કારણ કે, તેમણે જે આશા સેવી છે તે ધમણ 3 પર છે. ધમણ 1 તો ખાસ કારગર નથી તે વાત થયા સ્થાને જ છે. જોકે, સુપ્રીટેન્ડટ બાદ ફરી વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યા. તો સરકારે પણ જવાબ આપીને વળતો પ્રહાર કર્યો.
ધમણ 1 વેન્ટિલેશન મશીન પોતે વેન્ટિલેટર પર હોય તેમ કોરોનાના દર્દીઓ માટે ખાસ સફળ નથી રહ્યું. ત્યારે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડટ બાદ વડોદરાના ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડટે આ ધમણ 1ને લઇને ખુલાસો કર્યો છે.