મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ એક મોટો રાહતનો દાવો કર્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેની મોટી જાહેરાત
રાજ્યમાં ત્રીજી લહેરનું પીક જતું રહ્યું
ઓમિક્રોનથી હવે ડરવાની જરુર નથી
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાને લઈને ઘણી મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. નાસિક, નાગપુર, પુણે, ઓરંગાબાદ જેવા શહેરોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે પરંતુ મુંબઈ, ઠાણે, રાયગઢ, પાલઘરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે આ હિસાબે કહી શકાય કે રાજ્યમાં ત્રીજી લહેરનું પીક આવીને જતું રહ્યું છે અને હવે નવા વેરિયન્ટથી ગભરાવવાનું કોઈ કારણ નથી.
સંક્રમિત દર્દી સારવાર બાદ પાંચથી છ દિવસમાં સાજા થઈ રહ્યાં છે, ચિંતાની કોઈ વાત નથી
રાજેશ ટોપેએ કહ્યું કે શહેરમાં ભલે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યાં હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે તેની પર કોઈ ચિંતા કરવાની જરુર નથી. કારણ કે હાલમાં સંક્રમિત દર્દી સારવાર બાદ પાંચથી છ દિવસમાં સાજા થઈ રહ્યાં છે. તેથી ગામમાં વધી રહેલા કેસને જોઈને વધારે ચિંતા કરવાની જરુર નથી.
કોરોનાને પહોંચી વળવા મહારાષ્ટ્રે કરી આ તૈયારી
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા હતા. પરંતુ હાલ હોસ્પિટલોમાં 92 થી 95 ટકા બેડ ખાલી પડયા છે. પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી માત્ર 5થી 7ટકા દર્દીઓ જ હોસ્પિટલના પલંગ પર છે. આઈસીયુ અને ઓક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓ માત્ર ૧ ટકા જ છે. ઘણા ચેપગ્રસ્ત દર્દીઓની ઘરે જ સારવાર કરવામાં આવે છે. તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પરંતુ એવું પણ નથી કે કોરોનાનું સંકટ સંપૂર્ણપણે ટળી ગયું છે.
મેં માસ્ક મુક્ત મહારાષ્ટ્રની વાત નથી કરી
આ દરમિયાન કોરોના સંક્રમણમાં ઘટાડો થવાને કારણે હવે રાજ્યમાં માસ્કનો ઉપયોગ કરવાની જરૂર નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "મેં ક્યારેય માસ્ક મુક્ત મહારાષ્ટ્રની વાત કરી નથી. કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. તેથી ટાસ્ક ફોર્સને આ સંદર્ભે માર્ગદર્શન આપવા દો. રાજ્યમાં હજુ કેટલા દિવસ પ્રતિબંધો પાળવા પડશે તેની માહિતી લોકોને સરળતા રહેશે. ઇંગ્લેન્ડ, ડેન્માર્ક, હોલેન્ડ જેવા દેશોમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી છે કે તેઓ આઈસીએમઆર સાથે ચર્ચા કરે કે અમે તેમના અનુભવો પરથી કેટલાક મંતવ્યો કેવી રીતે બનાવી શકીએ. પરંતુ માસ્ક મુક્ત મહારાષ્ટ્ર વિશે કોઈ ચર્ચા થઈ નથી.