ઉલ્લેખનીય છે કે 3 મે સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 40000ને પાર હતી. જ્યારે છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના દર્દીની સંખ્યામાં 20000નો વધારો થયો છે. જેના કારણે હવે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં 113 લોકોના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. જ્યારે 394 કેસ સામે આવ્યા છે.
ભારતમાં વકર્યો કોરોના
છેલ્લા 6 દિવસમાં કેસમાં થયો 20000નો વધારો
3 મેથી હાલ સુધીમાં કેસમાં 20000નો વધારો થતાં કુલ સંખ્યા 60000ને પાર
કોરોના વાયરસના કારણે હાલ સુધીમાં 2000 લોકોના મોત થઈ ચૂક્યા છે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં 113 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં સતત ચિંતા વધી રહી છે. અહીં 24 કલાકમાં 48 લોકોના મોત થયા છે તો તેમાંથી 27 મોત ફક્ત મુંબઈના છે. શનિવારે કોરોનાથી મહારાષ્ટ્રમાં 42 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર
રાજ્યોના અહેવાલ મુજબ, શનિવારે 3,171 કેસ નોંધાયા હતા, ત્યારબાદ ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 62,915 થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસનો ગ્રાફ જોઈએ તો કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત 20,000 દર્દીઓ વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 1,165 નવા કોરોના વાયરસના કેસ થયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 20,228 થઈ ગઈ છે જ્યારે 780 લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, દિલ્હી સરકારે કોવિડ -19 ની તપાસ કરતી લેબને 24 કલાકમાં પરિણામ આપવાની સૂચના જાહેર કરી છે.
ગુજરાતમાં 24 કલાકમાં થયા 23 લોકોના મોત
હાલમાં દેશમાં ગુજરાતની સ્થિતિ પણ ઘણી ખરાબ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. જ્યારે 394 કેસ સામે આવ્યા છે. નવા કેસ આવ્યા બાદ ગુજરાતમાં કુલ દર્દીની સંખ્યા 7797 થઈ છે. ગુજરાતમાં 3 મેએ 5428 કેસ હતા, આજે 7797 છે એટલે કે અર્થાત્ 2379 કેસ વધ્યા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાથી થનારો મૃત્યુઆંક બીજા નંબરે છે. છેલ્લા 24 કલાકમાં ફક્ત અમદાવાદમાં 280 નવા કેસ આવ્યા છે અને 20 લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાતની બગડતી સ્થિતિને જોતાં એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા મુલાકાતે છે. તેઓએ કહ્યું કે સંક્રમિત દર્દી સમાજના જરથી પોતાને છુપાવે છે. જે યોગ્ય નથી. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ડની બીમારીના લોકો પર કોરોના ઝડપથી હાવી થાય છે.
તમિલનાડુમાં 6535 લોકો થયા સંક્રમિત
તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તેજી જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં 4 મહિલાઓના મોત નીપજ્યાં, જ્યારે 526 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા નવા કેસો આવ્યા બાદ વધીને 6,535 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત નીપજ્યાં છે.