ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 8, 603 નવા મામલા નોંધવામાં આવ્યા છે. ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 99,974 છે. રિકવરી રેટ 98.35 ટકા છે. ગત 24 કલાકમાં 8,190 લોકો સાજા થયા છે. આ બાદ સાજા થનારાની કુલ સંખ્યા વધીને 3,40,53,856 થઈ ગઈ છે. ત્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 126.53 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.
દક્ષિણ આફ્રિકામાં મળ્યા કોરોનાના નવા વેરિએન્ટને જોતા ભારતમાં સતર્કતા વર્તવામાં આવી રહી છે. આ દરમિયાન ગત 3 દિવસોમાં ઓમિક્રોન વૈરિએન્ટના 12 શંકાસ્પદોને દિલ્હી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આ લોકો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં. તમામ લોકોને દિલ્હીના લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભારતમાં અત્યાર સુધીમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના 2 મામલાની ખરાઈ થઈ
ઉલ્લેખનીય છે ભારતમાં અત્યાર સુધીમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના 2 મામલાની ખરાઈ થઈ છે. બન્ને મામલા કર્ણાટકમાં મળ્યા છે. તેમાંથી એક બેંગલુરુના એક 46 વર્ષીય ડોક્ટર છે. તેમણે રસીના બન્ને ડોઝ લાગી ચૂક્યા હતા. બીજો માણસ 66 વર્ષીય દક્ષિણ આફ્રીકન નાગરિક છે જે 20 નવેમ્બરે કોરોનાના નેગેટિવ રિપોર્ટની સાથે ભારત આવ્યો હતો અને 7 દિવસ બાદ દુબઈ માટે રવાના થયો હતો.