કેન્દ્ર સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ પર પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે સવાલો ઉઠાવ્યા છે. પેકેજ પર સવાલો ઉઠાવતા પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું કે તેમા સરકાર તરફથી વધારે યોગદાન અપાયું નથી અને તેનાથી વધારે ફાયદા નહીં મળે.
20 લાખ કરોડ રૂપિયાના પેકેજ પર પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે સવાલો ઉઠાવ્યા
પેકેજનો 10 ટકા ભાગ પણ વર્તમાન આર્થિક સ્થિતિ સુધારવા માટે ખર્ચ કરાઇ રહ્યો નથી
મોદી સરકારમાં નાણા સચિવ રહી ચૂકેલા ગર્ગે કહ્યું કે આ પેકેજમાં ત્રણ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા છે. પહેલુ ઇકોનોમિક ગ્રોથ આગળ વધારવો, બીજુ ઉદ્યોગોને ગતિ આપવી અને ત્રીજુ બેરોજગારી પર ધ્યાન કેન્દ્રીત કરવું. કોરોનાનો સામનો કરવા માટે લૉકડાઉનને પગલે લગભગ 10 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે. તેઓએ કહ્યું કે જો આ લક્ષ્યોને હાંસલ કરવા છે તો સરકારે પોતાના ખજાનામાંથી વધારે રાશિ જાહેર કરવી જોઇતી હતી.
તેઓેએ કહ્યું કે આ પેકેજમાં વધારે ધ્યાન રોકડની લિક્વિડિટી પર અપાયું છે. તેઓેએ કહ્યું કે હું નથી માનતો કે તેનાથી સમસ્યા દૂર થઇ શકશે. દેવા માટે સરકારે જે પેકેજે જાહેર કર્યું છે, તેની અસર એ વાત પર રહેશે કે બેન્ક કેવી રીતે કાર્ય કરે છે. ભલે આ પેકેજ 20 લાખ કરોડ રૂપિયાનું છે, પરંતુ તેનો 10 ટકા ભાગ પણ વર્તમાન આર્થિક સ્થિતિ સુધારવા માટે ખર્ચ કરાઇ રહ્યો નથી.
તેઓેએ કહ્યું કે જો આટલો ઓછો ભાગ તાત્કાલિક ખર્ચ કરવામાં આવશે તો તેના મર્યાદિત ફાયદા મળશે અને જે નુકશાન થયું છે, તેની ભરપાઇ કરવી મુશ્કેલ બની રહેશે. જોકે ચોથા લૉકડાઉનમાં છૂટ આપવા પર તેઓએ કહ્યું કે તેનાથી તમામ લોકોની સામે ભૂખમરાનું સંકટ દૂર થઇ જશે.
કોરોના સંકટના પેકેજને કેવી રીતે લાગૂ કરવું જોઇએ, પ્રશ્નના સવાલ પર ગર્ગે કહ્યું કે તેમા પ્રવાસી શ્રમિકો પર ફોકસ કરવું જોઇએ. શહેરોમાંથી લોકો દ્વારા પોતાના ગામ પરત ફરતા સંક્રમણનો ખતરો વધી જશે. જોકે આપણે ત્યાં સુધી ન ડરવું જોઇએ, જ્યાં સુધી મોતનો દર વધારે થતો નથી.