ભારતમાં કોરોના વાયરસના વધતાં ચિંતાજનક કેસના આંકડાઓ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે મદદ માટે અપીલ કરી છે.
ભારતમાં થઈ રહેલા ઘટનાઑ પર દુ:ખી છું : ગ્રેટા થનબર્ગ
વિશ્વ આખા મદદ માટે આગળ આવવું જોઈએ : ગ્રેટા થનબર્ગ
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી
કોરોના સામે લડતા ભારત માટે ગ્રેટાએ માંગી મદદ
ભારતમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે દુનિયાભરના દેશોની ચિંતા વધી છે ત્યારે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ભારત માટે વિશ્વને મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી છે. ગ્રેટાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં હાલની ઘટનાઓને જોઈને દુ:ખી છું. વિશ્વ આખાએ આગળ આવવું જોઈએ અને તરત જ મદદ પહોંચાડવી જોઈએ. નોંધનીય છે કે ગ્રેટાએ આ ટ્વિટની સાથે એક મીડિયા અહેવાલ પણ ટ્વિટ કર્યો છે જેમાં ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 3 લાખથી વધારે કેસને દર્શાવવામાં આવ્યા છે.
Heartbreaking to follow the recent developments in India. The global community must step up and immediately offer the assistance needed. #CovidIndiahttps://t.co/OaJVTNXa6R
નોંધનીય છે કે ગ્રેટા પર્યાવરણની કાર્યકર્તા છે અને થોડા મહિનાઓ પહેલા જ ભારતમાં થઈ રહેલા ખેડૂતો આંદોલનના સમર્થનમાં ગ્રેટાએ અવાજ ઉઠાવ્યો હતો અને તેના કારણે તે વિવાદોમાં ઘેરાઈ હતી. ભારતમાં થઈ રહેલા આંદોલન પર અમેરિકાની પ્રખ્યાત સેલિબ્રિટી રિહાનાએ પણ ટ્વિટ કર્યું હતું.
મદદ માટે આગળ આવી રહ્યા છે દેશો
નોંધનીય છે કે ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે ઘણા બધા દેશોએ પણ ભારત તરફ મદદનો હાથ આગળ વધાર્યો છે. રશિયાથી લઈને ઑસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવા દેશોએ ભારતને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (25 એપ્રિલ, 2021)
ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે 2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.