ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો લૉકડાઉન પૂર્ણ થવા સુધીમાં એટલે કે આગામી એક સપ્તાહ (14મી એપ્રિલ સુધી) માં સંક્રમણના કેસની સંખ્યા વધીને 17,000થી વધારે થઇ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડાઓથી આ જાણકારી મળી છે.
લૉકડાઉન પૂર્ણ થવા સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા વધીને 17,000થી વધારે થઇ શકે
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 4,421 કેસ સામે આવ્યા છે. તેમાંથી 114 લોકોની અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચૂક્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉન લાગુ કર્યું હતું. જે 14 એપ્રિલ સુધી લાગુ રહેશે.
દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા બેગણી થવામાં પહેલા 8 દિવસ લાગ્યા હતા. જ્યારે હવે 6થી 4 દિવસમાં જ કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા બેગણી થઇ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડાઓ મુજબ, 15થી 20 માર્ચ સુધી પાંચ દિવસમાં જ સંક્રમણના દર્દીઓની સંખ્યા બેગણી થઇ. જ્યારે 20થી 23 માર્ચ વચ્ચે માત્ર 3 દિવસમાં જ દર્દીઓની સંખ્યા વધીને બેગણી થઇ. જોકે 23થી 29 માર્ચ વચ્ચે સંક્રમણની આ ઝડપમાં થોડો ઘટાડો નોંધાયો અને કોરોનાના કેસનો આંકડો 6 દિવસે બેગણો થયો.
જ્યારે 29 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે ( 29 માર્ચથી 2 એપ્રિલ, 2-6 એપ્રિલ) કોરોના વાયરસ સંક્રમણના કેસ બેગણા થવામાં લાગનારો સમય ઘટીને 4 દિવસનો રહી ગયો છે. એટલે કે દર ચોથા દિવસે કોરોના વાયરસની સંખ્યા ડબલ થઇ રહી છે. તબલીગી જમાતના ધાર્મિક આયોજન સાથે જોડાયેલા લોકોને કારણે કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધી છે.
સરકારે રવિવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ડબલ થવાનો દર 4.1 દિવસ થઇ ગયો છે પરંતુ જો દિલ્હીમાં તબલીગી જમાતના ધાર્મિક આયોજન બાદ હાલમાં જ સંક્રમણ ફેલાવાની ઘટના ન બનતી તો આ દર 7.4 દિવસનો હોત. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આમ જાણકારી આપતા જણાવ્યું કે તબલીગી જમાતની ઘટનાને કારણે સંક્રમણ ફેલાવાના દરમાં વધારો થવાથી સંક્રમણના કેસ ટુંકાગાળામાં જ બેગણા થઇ ગયા છે.
તેઓએ કહ્યું કે જો આ ઘટના ન બની હોત તો સંક્રમણના કેસ બેગણા થવાનો સરેરાશ સમય 7.4 દિવસનો રહેતો, જ્યારે આ (તબલીગી જમાત) ઘટનાને કારણે દર્દીઓની સંખ્યા વધીને ડબલ થવામાં સરેરાશ 4.1 દિવસનો સમય લાગ્યો.