કોરોના વાયરસ! સમગ્ર દુનિયામાં કોહરામ મચાવનાર આ વાયરસ સામે દુનિયાનો મેડિકલ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ જયારે સૌ કોઈ ઘરની બહાર પણ નીકળવાથી ડરે છે એવા સમયે આ જૂથ આ વાયરસ સામે નીડર રહીને સૌનું રક્ષણ કરે છે. કરુણતા એ છે કે આમ કરવામાં તેઓ પોતે વાયરસના ચેપનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 24 પોલીસ કર્મીઓ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે.
શહેરમાં અત્યારે 24 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે
24 કેસમાંથી 9 ટ્રાફિક શાખાના કર્મચારીઓ પોઝીટીવ
શહેરમાં પોલીસને સુરક્ષા માટે માસ્ક, હાથ મોજા અને સેનીટાઈઝર આપવામાં આવે છે
અમદાવાદ શહેરના કંટ્રોલ રૂમના ડેપ્યુટી પોલીસ કમિશ્નર વિજય પટેલે માહિતી આપતા કહ્યું હતું કે શહેરમાં અત્યારે 24 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે અને 200 જેટલા જવાનો સુરક્ષાત્મક પગલા હેઠળ ક્વોરનટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
ખાડિયા વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર કોરોના પોઝીટીવ
રવિવારે શહેરના ખાડિયા વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર કોરોના પોઝીટીવ આવતા સુરક્ષા ખાતર તેમના સંપર્કમાં રહેતા 15 પોલીસ જવાનો જે આ જ પોલીસ સ્ટેશનમાં હતા તેમને હોમ ક્વોરનટાઈન કરી દેવાયા છે. નોંધનીય છે કે ખાડિયા અમદાવાદ શહેરના કોટ વિસ્તારનો ભાગ છે જ્યાં 21મી એપ્રિલ સુધી કર્ફ્યું ખડકી દેવામાં આવ્યો છે કારણ કે આ જ વિસ્તારમાં એક સાથે ઘણા બધા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.
ઓરડામાં રહેતા સાથી કોરોના પોઝીટીવ હોવાને પગલે સંક્રમિત થયા
અમદાવાદ શહેરના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર ACP આકાશ પટેલે જણાવ્યું હતું કે આ 24 પોલીસ કર્મીઓમાં 9 ટ્રાફિક શાખાના કર્મચારીઓ છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ જવાનોમાંથી 2 જવાનો તેમના રૂમમાં રહેતા સાથી પોઝીટીવ હોવાથી સંક્રમિત થયા હતા.
આકાશ પટેલે જણાવ્યું હતું કે એક જવાન શહેરના રાયખડ ચાર રસ્તે ફરજ બજાવતો હતો જે શહેરનું કોરોના વાયરસ હોટસ્પોટ છે જયારે બીજો જવાન તેના ઓરડામાં રહેતા સાથી કોરોના પોઝીટીવ હોવાને પગલે સંક્રમિત થયો હતો. નોંધનીય છે કે તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં પોલીસને સુરક્ષા માટે માસ્ક, હાથ મોજા અને સેનીટાઈઝર આપવામાં આવે છે.
અત્યારે અમદાવાદ જીલ્લામાં 1248 કોરોનાના પોઝીટીવ કેસ છે જેમાંથી 49 દર્દીઓ રીકવર થઇ ચુક્યા છે અને 38 દર્દીઓના મોત થઇ ચુક્યા છે.