હવે 3 જાન્યુઆરીથી ભારતમાં બાળકોને વેક્સિન આપવાની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે નિષ્ણાંતો દ્વારા બાળકોમાં વેકસીનેશનને લઈને કેટલાક મહત્વના મુદ્દા રાખવામાં આવ્યા છે.
3 જાન્યુઆરીથી બાળકોને આપશે વેક્સિન
વેક્સિનનો કેટલી જરૂરી તે અંગે ચર્ચા
કઈ વેક્સિન છે સૌથી અસરકારક
કોરોના સામે રક્ષણ આપવા માટે 15-18 વર્ષના બાળકોને કોવિડ-19 વેક્સિન મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે આ નિર્ણય કેટલો સાચો છે તે અંગે ચર્ચા ચાલી રહી છે. કેટલાક ડોકટરો તેની તરફેણમાં નથી. AIIMSના વરિષ્ઠ ડૉક્ટર સંજય કે. રાયે સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે તેને અવૈજ્ઞાનિક પગલું ગણાવ્યું છે. તો ઘણા નિષ્ણાતો કહે છે કે બાળકોને કોરોનાની રસી આપવાનો નિર્ણય યોગ્ય છે.
બાળકો માટે વેકસીનેશન જરૂરી
કેન્દ્ર સરકારના કોવિડ-19 ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ. એનકે અરોરાએ કહ્યું છે કે બાળકો માટે રસીકરણ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન કોવેક્સિનની બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર સારી અસર જોવા મળી હતી. 15-18 વર્ષની વયના બાળકો પુખ્ત વયના લોકો જેવા જ હોય છે. બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ જ 4 અઠવાડિયાના અંતરાલમાં રસીના બંને ડોઝ આપવામાં આવશે.
15-18 વર્ષના બાળકો માટે રસીકરણ જરૂરી
ડૉ. એન.કે. અરોરાએ કહ્યું કે દેશમાં અમારું રિસર્ચ કહે છે કે ભારતમાં કોવિડને કારણે મૃત્યુ પામેલા લગભગ બે તૃતીયાંશ લોકો આ વય જૂથના હતા. તેથી, 15-18 વર્ષની વયજૂથના કિશોરોને તેમની સલામતીને ધ્યાનમાં રાખીને વેક્સિન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિશોરો ખૂબ જ સક્રિય હોય છે. તેમને શાળા-કોલેજમાં જવું પડે છે. આ કારણે તેમનામાં ઇન્ફેકશન લાગવાનું જોખમ પણ વધારે છે. ઓમિક્રોનના ફેલાવા પછી આ જોખમ વધી ગયું છે. કિશોરો એવા ઘરોમાં રોગ ફેલાવવાનું જોખમ ધરાવે છે જ્યાં વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ હોઈ શકે છે. આ બધાને ધ્યાનમાં રાખીને, દેશમાં 15 થી 18 વર્ષની વયના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કિશોરો માટે નવા વર્ષની ભેટ
ડો. અરોરાએ જણાવ્યું હતું કે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે 15-18 વર્ષની વયના બાળકો માટે ભારત બાયોટેકના કોવેક્સિનના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે. ટ્રાયલ દરમિયાન રસીનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે. આ રસી સલામત છે. પીડા, હાથનો સોજો જેવી અમુક અસરો પણ પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં ઘણી ઓછી હોય છે. શાળાઓ ખુલી છે. ઘણા વાલીઓ હજુ પણ તેમના બાળકોને શાળાએ મોકલવામાં ડરતા હોય છે. વેક્સિન અપાવીને તેઓ બાળકોની સલામતી વિશે ખાતરી કરી શકશે. હું કહીશ કે આ કિશોરો માટે આ એક નવા વર્ષની ઉત્તમ ભેટ છે.