મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને કર્યા જેલ હવાલે કર્યા
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલો
ચાર આરોપીના રિમાન્ડ થયા મંજૂર
કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
મોરબી બ્રિજ દુર્ઘટનાએ આખા રાજયને થરથરાવી નાખ્યું છે. આ હોનારતનો આજે ત્રીજો દિવસ છે. જેમાં કશૂરવાર 9 આરોપીને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે આ મામલે મોરબી બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આરોપી તરફી કોઇ વકીલ કેસ નહી લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. 9 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા બાર એસોસિએશન દ્વારા આ પ્રકારનો નિર્ણય કરાયો હતો. વકીલોના આ નિર્ણયને લઈને જવાબદારોને ભીંસ પડતાં જિલ્લા બહારથી વકીલની મદદ મેળવવા માટે પ્રશાસન તજવીજ કરી રહ્યું છે. જેમાં આરોપીઓ તરફી સુરેદ્રનગરના વકીલની મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
4 આરોપી રિમાન્ડ, 5 જેલ ભેગા
તો બીજી તરફ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાંથી 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
9 આરોપીઓની કરાઇ છે અટકાયત
મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓની અટકાયત કરી છે. જે તમામ આરોપીઓને ગઇકાલે મોરબી સિવિલ લાવવામાં આવ્યા હતા. જેમાં 2 મેનેજર,2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરી લેવામાં આવી છે. જેમના નામ દિપક પારેખ(મોરબી)44 વર્ષ, દિનેશ દવે(મોરબી)41, મનસુખ ટોપીયા (મોરબી)59, માદેવ સોલંકી( મોરબી)36, પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63, દેવાંગ પરમાર(ધ્રાંગધા)31, અલ્પેશ ગોહિલ(દાહોદ)25, દિલીપ ગોહિલ(દાહોદ)33, મુકેશ ચૌહાણ(દાહોદ)26 ની ધરપકડ કરાઇ છે.જે તમામ આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી આરોપીની રિમાન્ડની માગ કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપના મેનેજર સહીત 9 આરોપીઓને બંદોબસ્ત સાથે મોરબી કોર્ટમાં રજુ કરાયા હતા.
PM મોદીએ મોરબી અસરગ્રસ્તોની લીધી મુલાકાત
મહત્વનું છે કે મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં મોરબીમાં અકસ્માત સ્થળ પર જઇ બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં અસરગ્રતો સાથે વાત કરી હતી. ત્યારબાદ PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં પુલ દુર્ઘટનાની સમીક્ષા કરાઇ હતી. આ દરમિયાન PM મોદીએ મોટા આદેશ જારી કર્યા હતા. જેમાં આ ગોઝારી ઘટનાના એક-એક કડીની ઝીણવટભરી તપાસ કરવા સબંધિત વિભાગને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચીવ, કલેકટર સહીત ટોચના મંત્રીઑ અને અધિકારીઓ પણ હાજર રહ્યા છે.
તૂટેલા ઝુલતા પુલનું PM મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ
મોરબીમાં તૂટેલા ઝુલતા પુલનું PM મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મોરબીમાં અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદી દુર્ઘટના સ્થળે મોદી 10 થી 15 મિનિટ રોકાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો. વધુમાં PM મોદીએ રેસ્ક્યૂ ટીમના અધિકારી સાથે ચર્ચા પણ કરી હતી. જેમાં આર્મી જવાનો અને NDRFની ટીમ સાથે વાત કરી સ્થિતિ જાણી હતી.
મોદીએ અસરગ્રસ્તોના હાલચાલ પૂછી સાંભળી ઘટનાની આપવીતી
ત્યારબાદ વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી ઘટનાની આપવીતી પણ સાંભળી હતી. ત્યારબાદ હવે PMની અધ્યક્ષતામાં મોરબી SP ઓફિસે હાઇલેવલની બેઠક યોજાઇ હતી. જેમાં મોદીએ સબંધિત વિભાગને જરૂરી દિશા- નિર્દેશ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી હોનારતમાં 135 લોકો મોતને ભેટતા રાજ્ય આખું હચમચી ગયું છે.