કાર્યપાલ ઈજનેર પ્રમોદ વસાવા અને MIS ઓપરેટર નિશિથ પીઠવાના કોર્ટ 3 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો મામલો
કૌભાંડી બંને આરોપી 3 દિવસનાં પોલીસ રિમાન્ડ પર
રિમાન્ડમાં મોટા નામ ખૂલવાની શક્યતા
156 આવાસમાંથી 40 આવાસના લાભાર્થીના નામ બદલી નાખ્યા હતા, સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ પાલિકા કાર્યપાલક ઇજનેર અને એક્સપર્ટ સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . જે બાદ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એક્સપર્ટ નિશિથ પીઠવા સામે ફરિયાદ નોંધી સસ્પેન્ડ પણ કરી દેવાયા હતા આજે કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કૌભાંડી બંને આરોપી 3 દિવસનાં પોલીસ રિમાન્ડ પર
સમગ્ર કૌભાંડ બહાર આવતા ફરિયાદી અને આરોપી એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. સમગ્ર મામલે મેયરે પણ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીના આદેશ કર્યા છે તો સામે ક્રાઇમ બ્રાન્ચ પણ આજે કોર્ટમાં આરોપીના રિમાન્ડની માગણી કરી હતી જે બાદ કોર્ટે કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા , MIS ઓપરેટર નિશિથ પીઠવા બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી, પણ કોર્ટે સોમવાર સવાર 11 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજુર કર્યા છે.
રિમાન્ડ દરમ્યાન અન્ય નામો ખુલવાની શક્યતા
3 દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હોવાથી આરોપીની કાયદેસરની ઊંડી પૂછપરછ કરવામાં આવશે જેમાં મોટાગજાના માથા ખૂલે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર મુદ્દે આરોપીને સાણસામાં લેવાના પ્રત્યન કરી રહી છે. કૌભાંડી આરોપીએ હજુ સુધી મગનું નામ મરી નથી પાડ્યું પણ ફરિયાદ કરનાર એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ ફસાવ્યા હોવાનો આરોપ જરૂર કરી રહ્યા છે. પણ આરોપીઓ રિમાન્ડ દરમિયાન પોલીસ સામે કૌભાંડમાં અન્ય સામેલ નામો ઓકશે તેવા પૂરેપૂરા એધાણ દેખાઈ રહ્યા છે.
કેવી રીતે આચર્યું આવાસ યોજના કૌભાંડ?
ગરીબો માટે બનાવવામાં આવી રહેલા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન પ્રોજેક્ટમાં જ વડોદરાના અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરાતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે. સમગ્ર મામલો સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ ફરિયાદ કરતાં બહાર આવ્યો હતો.ફરિયાદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો થયેલા નામો બાદ લાભાર્થીને બદલાયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલે તપાસ થતાં મોટા પર્દાફાશ થયા છે.સમગ્ર કૌભાંડની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના માટે થયેલા ડ્રોમાં ગોલમાલ કરવામાં આવી હતી. ડ્રોમાં ખુલેલા નામો ડ્રો થયા બાદ અધિકારી કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એક્સપર્ટ નિશિત પીઠવા દ્વારા બદલી નાખવાં આવ્યા હતા. 156 મકાનો માટે થયેલી ડ્રો માંથી 40 જેટલા મકાનોના લાભાર્થી બદલી મકાનો સગેવગે કરવામાં આવ્યા હતા. જે બાદ ડ્રો અને VMCની વેબસાઈટમાં લાભાર્થીઓના નામો અલગ બતાવાયા તપાસ થતાં વિગતો અને નામો અલગ અલગ દર્શાવાતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એક્સપર્ટ નિશિત પીઠવા સામે ફરિયાદ થઈ છે. પોલીસે બંને અધિકારીઓને પૂછપરછ માટે બોલાવયા છે તો સામે કૌભાંડમાં નામો બહાર આવતાની સાથે બંને અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. અને કોર્ટ તરફથી તેમના રિમાન્ડ પણ મંજૂર કરી દેવાયા છે.
આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાના આરોપ
સમગ્ર મામલે ફરિયાદી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી અને આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ આક્ષેપ કરતાં કહ્યું કે સીટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા તેણે ફસાવામાં આવી રહ્યો છે. પોતાની કરતૂત ઉજાગર ન થાય માટે મને ફસાવ્યો હોવાનો તેમજ જે દિવસે આવાસના ડ્રો થયા તે દિવસે હાજર ન હોવાનો દાવો આરોપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ પોતાને મ્યુનિ કમિશનરને રજૂઆત કરવાનો મોકો ન મળ્યો હોવાની ફરિયાદ પણ આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા દ્વારા કરવામાં આવી છે.