સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ મામલે નામદાર કોર્ટે યુવાનોને આપ્યો સંદેશો, કહ્યું તમારો સમય સર્જનાત્મકતા માટે આપવો જોઇએ
ગ્રીષ્મા હત્યાકેસમાં કોર્ટનો ચુકાદો
આરોપી ફેનિલને ફટકારી ફાંસીની સજા
યુવાનોને વેબસિરીઝનું વળગણ લાગ્યુ છે-કોર્ટ
સુરતના ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવાવમાં આવી છે. છેલ્લા કેટલાંય દિવસોથી ચાલતી આ ટ્રાયલમાં કોર્ટ દ્વારા 105 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 105 સાક્ષીઓની જુબાની સાથે આરોપી દ્વારા સરાજાહેર હત્યા કરતા પહેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જાહેરમાં લોકોમાં ડર પેદા કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે લીધો હતો. ત્યારે આ કેસમાં કોર્ટે યુવાનોને એક મહત્વનો સંદેશ આપ્યો છે.
યુવાનો મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે-કોર્ટ
આ કેસની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે ચુકાદામાં યુવાપેઢીને સંદેશો આપતા જણાવ્યું કે આજકાલ યુવાનો મોબાઇલ અને ઇન્ટરનેટ પર રચ્યા પચ્યા રહે છે. યુવાનોને આજે વેબસિરીઝનું વળગણ લાગ્યું છે. વેબસિરીઝને કારણે યુવાનોની માનસિકતા પર અસર પડી છે. વેબસિરીઝ પર અમર્યાદિત હિંસા અને બીભત્સતા હોય છે. આ બધા પાછળ સમય વેડફ્યા કરતા યુવાનોએ પોતાનો સમય સર્જનાત્મકતા પર આપવો જોઇએ.
આરોપીને કોઇ પસ્તાવો ન હતો- સરકાર પક્ષ
કોર્ટે ચુકાદામાં એમ પણ નોંધ્યું કે આરોપી ફેનિલને કોઇ પસ્તાનો ન હતો. હત્યા કર્યા બાદ આરોપી બાજુમાં ઉભો ઉભો કંઇક ખાઇ રહ્યો હતો. ટ્રાયલ દરમિયાન પણ આરોપીને કોઇ કોઇ પસ્તાવો ન હતો. સુનાવણી દરમિયાન પણ વારંવાર માથામાં હાથ ફેરવીને પોતે કોઇ સારુ કામ કરતો હોય તેવું બતાવતો હતો. કોર્ટે કુલ 500 થી વધુ પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કસાબ અને નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કસાબને પોતાના કર્યાનો કોઈ પસ્તાવો ન થયો, રંજ ન હતો તેવુ ફેનિલ માટે પણ નોઁધ્યુ હતુ. કોર્ટે એમ પણ જણાવ્યું કે આ ચુકાદો માત્ર વીડિયો આધારિત નથી. આરોપીની ગુનાહિત માનસિકતા હતી. હત્યા ગણતરીપૂર્વક થઇ છે. આરોપીએ ફ્લિપકાર્ટ પરથી ચપ્પુ મંગાવ્યુ હતું પરતુ ઓર્ડર કેન્સલ થતા તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ હતું.
આરોપીએ હત્યા કરતા પહેલા રેકી કરી હતી- સરકાર પક્ષ
સરકારે પક્ષે કહ્યું હતું કે આરોપીએ હત્યા કરતા પહેલા રેકી કરી હતી. ગ્રીષ્માની મિત્રને આરોપીએ કહ્યું હતું કે તે કંઈક મોટુ કરવાનો છે. બનાવ પહેલા તેણે ક્રિષ્ના સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર વાત પણ કરી હતી. વધુમાં કહ્યું હતું કે દરેક વાલિયો ડાકુ વાલ્મિકી બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. માત્ર ગ્રીષ્મા જ નહીં પરંતુ તેના કાકા અને ભાઈની હત્યાનો પણ પ્રયાસ થયો હતો.