ગુજરાતની એક અદાલતે 2002 ના રમખાણોમાં વળતર માટે દાખલ કરેલા મુકદ્દમામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ હટાવી દીધું છે. એક બ્રિટિશ પરિવારે તોફાનોમાં માર્યા ગયેલા ત્રણ સબંધીઓ માટે વળતર તરીકે 23 કરોડની રકમનો દાવો કર્યો છે.
ગુજરાતમાં થયેલ રમખાણ મામલો
PM મોદીનું નામ હટાવવાનો આપ્યો આદેશ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લા અદાલતે પીએમ મોદીનું નામ હટાવતા દલીલ કરી હતી કે તેમાં શામેલ કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી. આચાર્ય સિવિલ જજ એસ. કે ગઢવીએ કહ્યું કે, આરોપને વાંચતી વખતે લાગ્યું કે આરોપી 1 (PM મોદી) પર બિનજરૂરી રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટના પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
પુરાવા વગર પાયા વિહોણા આરોપ ન કરી શકાય
જજે વધુમાં કહ્યું હતું કે, "મને લાગે છે કે પુરાવા વિના આવા પાયાવિહોણા આરોપો આરોપી 1 સામે કાર્યવાહી કરવા માટે યોગ્ય નથી." પીએમ મોદીનું નામ હટાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે મુજબ રાજ્યને આવી ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય છે, મોદીને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી શકાય નહીં.
તોફાનોમાં 3 બ્રિટિશ નાગરિકોના થયાં હતા મોત
આપને જણાવી દઇએ કે બ્રિટિશ નાગરિક ઇમરાન અને શિરીન દાઉદે 2004 માં નરેન્દ્ર મોદી અને અન્ય 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેણે તેના સબંધીઓ સઇદ દાઉદ, શકીલ દાઉદ, મોહમ્મદ અસવતનાં મોત માટે વળતર માંગ્યું છે. જયપુરથી નવસારી પરત ફરતી વખતે, 28 ફેબ્રુઆરી, 2002 ના રોજ, ત્રણેય પર પ્રાંતિજ નજીક હુમલો થયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.
PM મોદીને નાણાવટી પંચે આપી છે ક્લિનચીટ
એવી દલીલ કરવામાં આવી હતી કે પીએમ મોદીનું નામ કોઈ કારણ વગર ઉમેર્યું હતું. એવું પણ કહેવામાં આવતું હતું કે મોદી વિરુદ્ધ રાજકીય આરોપો લગાવવામાં આવ્યા હતા પરંતુ નાણાવટી પંચે તેમને ક્લિનચીટ આપી હતી.