વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસ દ્વારા કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગત રોજ કોર્ટે પાંચ આરોપીઓનાં 5 દિવસનાં 2 એપ્રિલ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.
વડોદરા રામ નવમી શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો
પોલીસે અત્યાર સુધી 23 લોકો ની કરી છે ધરપકડ
કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી કરી નામંજૂર
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. ગત રોજ પોલીસે 5 લોકોનાં 2 એપ્રિલ બપોરનાં 12 વાગ્યા સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. ગત રોજ 18 તોફાનીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 18 આરોપીઓ દ્વારા આજે કોર્ટમાં જામીન અરજી મુકાઈ હતી. કોર્ટે તમામ 18 આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા. જામીન અરજી નામંજૂર થતા ફરી એક વખત તમામ લોકોને જેલ ભેગા કરાયા છે. ત્યારે શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
VHP નેતા રોહન કમલેશ શાહની પોલીસ કરી અટકાયત
વડોદરામાં પથ્થરમારા બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે કાર્યવાહિ કરવામાં આવી છે. જેમાં VHP નેતા રોહન કમલેશ શાહની પોલીસે અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાંન્ચ ખાતે રોહન શાહની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે રોહન શાહની સાથે અન્ય કેટલાક લોકોની પણ તપાસ ચાલી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વિશ્વ હિન્દુ પરિષદના નેતા સહિતના લોકો સામે પોલીસ ફરિયા નોંધી છે. VHP નેતા રોહન કમલેશ શાહ વિરુદ્ધ IPC કલમ 153A મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં ACP ક્રાઇમ,ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો.
કોર્ટે 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરામાં ગત રોજ શોભાયાત્રા દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા લોકોની શોધખોળ કરી તેઓની ધરપકડ કરી હતી. ત્યારે ઝડપાયેલ 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યારે 5 આરોપીઓનાં 2 એપ્રિલ સુધીનાં 12 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 18 આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે 18 આરોપીઓના રિમાન્ડની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.