રાજકોટના હનુમાનમઢી ચોક પાસે આવેલ રાજકોટ નાગરિક બેંક સહકારી હાઉસિંગ સોસાયટીમાં રહેતા તબીબ દંપતીના સગીર વયના પુત્રનો અપહરણનો પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 5 આરોપીઓના પગેરૂ દબાવવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 80 લાખની ખંડણી માટે અપહરણનો પ્લાન ઘડાયો હોવાનું સામે આવ્યું છે.
કેવલ સંચાનીયાએ તબીબ દંપતીના પુત્રના અપહરણની યોજના બનાવી હતી
આ અંગે પોલીસે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરતા ત્રણેય આરોપી સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળ્યું હતું. જેંને પગલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરીને સંડોવાયેલ 5 આરોપીઓને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા છે. કેવલ સંચાનીયા, સંજય ઠાકોર, સુરેશ ઠાકોર અને ચિરાગ ઠાકોર, સંજય ઠાકોર સહિતના પાંચ આરોપીઓ પોલીસ ઝપટે ચડયા છે. જેની ઊંડી પૂછપરછ દરમિયાન આરોપી જયપાલસિંહ રાઠોડ અને સુરેશસિંહની સંડોવણી ખૂલવા પામી છે.જેને પોલીસે ફરારી જાહેર કર્યા છે. વધુમાં પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી કેવલ સંચાનીયાએ તબીબ દંપતીના પુત્રના અપહરણની યોજના બનાવી હતી. આરોપીઓને પૈસાની જરૂર હોવાથી છેલ્લા 8 માસથી અપહરણની યોજના ઘડતા હોવાની પણ કબૂલાત આપી હતી. 80 લાખની ખંડણી પડાવવા અપહરણની યોજના બનાવાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
શુ હતો સમગ્ર મામલો
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટના બીએએમએસ ડો. જીજ્ઞેશભાઈ ખંધેડીયા અને ડો.હેમાબેન ખંધેડીયા બન્ને પતિ પત્ની છે. જેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.જેનો 16 વર્ષનો પુત્ર રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલી સ્કુલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો હતો. જેના અપહરણનો પ્રયાસ થયો હતો. પરંતુ રોહિતએ મજબૂતીથી સામનો કરતા અપહરણકરો નિષ્ફળ નીવડ્યા હતા. પોલીસ સમક્ષ રોહિતે જણાવ્યુ કે, રાત્રે સવા નવેક વાગ્યાના આસપાસ તેના પ્રશનલ મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. જેમાં રોહિતને જણાવ્યુ કે, બ્લુ ડાર્ટ કુરીયરમાંથી તમારૂ પાર્સલ આવ્યું છે, તમે લઈ જાઓ. જે પાર્સલ લેવા સગીર બહાર આવતા જ સફેદ કલરની ઈકો કાર ઉભી હતી. અને ફૂટપાથ પર એક શખ્સ ઊભો હતો. જેને પગલે ડોક્ટર પુત્રને અજુગતું લાગતાં તે સતર્ક બની ગયો હતો. ત્યાં કાર,માંથી અન્ય શખ્સ ઉતાર્યો હતો અને બંને શખ્સોએ તેને ખેંચી ઇકકો કારમાં બળજબરીથી બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ત્રીજો શખ્સ પણ કારમાંથી ઉતાર્યો હતો. જોકે સગીર પુત્રએં તમામનો તાકાતથી સામનો કરી દેકારો કરતાં આરોપીઓ કાર લઈને નાશી છૂટયા હતા.