સૌથી વધુ 21 ભારતીય અબજોપતિ પાસે 70 કરોડ ભારતીય વસ્તી કરતાં વધુ સંપતિ છે. ઓક્સફેમ ઈન્ડિયાની એક નવી રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો.
ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ સતત વધી રહી છે
દુનિયાના મોટાભાગના ગરીબો હજુ પણ ભારતમાં રહે છે
દેશના એક ટકા ધનિકો પાસે દેશની 40 ટકાથી વધુ સંપત્તિ
કોરોનાકાળમાં અબજોપતિઓએ દર કલાકે 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી
અબજોપતિઓ પર ટેક્સ વધારવાથી સામાન્ય જનતાને થશે ફાયદો
સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના કાળના સમય બાદ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર પડવા પામી હતી પણ આ ખરાબ પરિસ્થિતિમાં પણ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારત યુકેને પછાડીને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. આ અસમાનતાની વધતી જતી ખાઈ અંગે ઓક્સફેમના નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ એક ઓક્સફેમ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેની રચના 1942માં થઈ હતી. સંસ્થાનો ઉદ્દેશ્ય વિશ્વમાં અસમાનતા અને આર્થિક સંકટથી પીડિત લોકોને સમાન અધિકાર આપવાનો છે. આ સંસ્થા દર વર્ષે વિશ્વભરની ગરીબી અને સંપત્તિનું વિશ્લેષણ કરીને ડેટા બહાર પાડે છે.
હાલ બહાર પાડેલ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં સૌથી અમીર એવા એક ટકા લોકો પાસે દેશની 40 ટકાથી વધુ સંપત્તિ છે, જ્યારે નીચેની અડધા ભાગની વસ્તી પાસે કુલ સંપત્તિનો માત્ર ત્રણ ટકા હિસ્સો જ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના મોટાભાગના ગરીબો હજુ પણ ભારતમાં રહે છે. આર્થિક અસમાનતાને કારણે આજે પણ દેશના 70% લોકોને સારી આરોગ્ય સુવિધાઓ અને પોષણયુક્ત ખોરાક મળતો નથી.
અમીરોને ટેક્સમાં છૂટ, ગરીબો પર બોજ વધ્યો
Oxfam ના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે છેલ્લા 40 વર્ષમાં અમીરોને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે અને તેની જ્યારે ગરીબો પર આડકતરી રીતે બોજ વધ્યો છે. ભારતમાં નીચેની 50 ટકા વસ્તી ટોચના 10 ટકાની ગણતરીમાં તેની છ ગણી વધુ આવક પરોક્ષ કર પર ખર્ચ કરે છે. વર્ષ 2021-22માં GST તરીકે 14.83 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા જેમાંથી 64 ટકા હિસ્સો નીચેના 50 ટકા લોકો પાસેથી મળ્યો હતો, જ્યારે ટોચના 10 ટકા અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા GST પ્રાપ્ત થયો હતો.
ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ગરીબ
રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ગરીબ ભારતમાં રહે છે. અહીં 22.89 કરોડ લોકો ખૂબ જ ગરીબ છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
ભારતમાં ભૂખમરામાં પણ વધારો
ઓક્સફેમ રિપોર્ટ અનુસાર, ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં ભૂખમરાથી પીડિત ભારતીયોની સંખ્યા 19 કરોડ હતી, જે વર્ષ 2022માં વધીને 35 કરોડ થઈ ગઈ છે. વર્ષ 2022માં 5 વર્ષથી ઓછી ઉંમરના 65 ટકા બાળકોભૂખને કારણે મૃત્યુ પામ્યા હતા.
દેશના એક ટકા ધનિકો પાસે દેશની 40 ટકાથી વધુ સંપત્તિ
છે ઓક્સફેમના રિપોર્ટ અનુસાર, ભારતના એક ટકા અમીરો પાસે દેશની 40.5 ટકાથી વધુ સંપત્તિ છે. ભારતના 21 સૌથી ધનાઢ્ય અબજોપતિઓ પાસે હાલમાં દેશના 700 મિલિયન લોકો કરતા વધુ સંપત્તિ છે અને બાકીના 50 ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિના ત્રણ ટકા છે.
અબજોપતિઓ પર ટેક્સ વધારવાથી સામાન્ય જનતાને થશે ફાયદો
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકના પહેલા દિવસે માનવ અધિકાર જૂથ ઓક્સફેમ ઇન્ટરનેશનલે વાર્ષિક અસમાનતા અહેવાલ માટે ભારત પૂરક રજૂ કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશના ટોપ-10 અમીરો પર પાંચ ટકા ટેક્સ લાદવામાં આવે તો દેશના તમામ બાળકોને શાળાએ મોકલી શકાશે. જો ભારતના તમામ અબજોપતિઓ પરના ટેક્સમાં 2 ટકાનો વધારો કરવામાં આવે તો આગામી ત્રણ વર્ષ સુધી દેશમાં કુપોષણથી પીડિત બાળકો માટે 40,423 કરોડ રૂપિયા એકઠા થઈ શકે છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, '2017-2021 દરમિયાન માત્ર એક અબજોપતિ ગૌતમ અદાણી પર અવાસ્તવિક નફો પર વન-ટાઇમ ટેક્સમાંથી રૂ. 1.79 લાખ કરોડ એકત્ર થઈ શક્યા હોત અને આ રકમ 50 લાખથી વધુ ભારતીય પ્રાથમિક શાળાના શિક્ષકોને એક વર્ષ માટે રોજગાર આપવા માટે પૂરતી છે.
સાથે જ અહેવાલમાં જણાવાયું છે કે "ટોચના 100 ભારતીય અબજોપતિઓ પર 2.5 ટકા ટેક્સ અથવા ટોચના 10 ભારતીય અબજોપતિઓ પર પાંચ ટકા ટેક્સ લાદવામાં આવે તો બાળકોને શાળામાં પાછા લાવવા માટે જરૂરી લગભગ સંપૂર્ણ રકમ એકત્ર થઈ શકે છે.'
કોરોનાનાકાળમાં 62 ટકા અબજોપતિઓમાં વધારો
કોરોના સમયગાળા દરમિયાન માત્ર અમીરોની સંપત્તિમાં જ નહીં પણ અમીરોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર આ દરમિયાન દેશમાં અબજોપતિઓની સંખ્યામાં 62.7451%નો વધારો થયો છે. એટલે કે કોરોનાકાળ પહેલા વર્ષ 2020 સુધી દેશમાં 101 અબજોપતિ હતા અને વર્ષ 2022માં તેમની સંખ્યા 166 પર પહોંચી ગઈ. છે. સાથે જ રિપોર્ટમાં એમ પણ ખુલાસો થયો છે કે હેલ્થ કેર અને ફાર્મા સેક્ટરમાં સાત નવા અબજોપતિ જોડાયા છે અને કુલ 32 અબજોપતિ હેલ્થ સેક્ટરના છે, જ્યારે 31 અબજોપતિઓ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના છે.
અબજોપતિઓએ દર કલાકે 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન દેશના અમીરોને સૌથી વધુ ફાયદો થયો. ડેટા અનુસાર દેશના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં બે વર્ષમાં 121 ટકાનો વધારો થયો છે અને દેશના અબજોપતિઓની સંપત્તિમાં દર મિનિટે 2.5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે દરરોજ 3,608 કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે. આ સાથે જ દેશના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 40 ટકાનો વધારો થયો છે.
મહિલા કામદારોને ઓછો પગાર મળે છે
Oxfam ના રિપોર્ટ અનુસાર, ભારતમાં મહિલા કામદારોને પુરૂષો કરતા ઓછા પગાર મળે છે. એટલે કે જો કોઈ પુરૂષ વર્કરને નોકરી માટે એક રૂપિયો મળે છે તો મહિલા વર્કરને તે જ કામ માટે 63 પૈસા ચૂકવવામાં આવે છે. જોન કે આ તફાવત એસસી-એસટી અને ગ્રામીણ વર્ગના કામદારોમાં વધુ જોવા મળી રહ્યો છે.
કોર્પોરેટ ટેક્સમાં છૂટથી ઉદ્યોગપતિઓને ઘણો ફાયદો
Oxfam એ દાવો કર્યો છે કે ભારતમાં પણ બેંક લોનમાં ઘણી અસમાનતા છે. ભારતીય બેંકોમાં, ગરીબો પાસેથી લોનની ઉચાપત થાય છે, જ્યારે મોટાભાગના કોર્પોરેટ ક્ષેત્રોને આપવામાં આવેલી 11 લાખ કરોડની લોન જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા માફ કરવામાં આવી છે. સાથે જ કોર્પોરેટ ટેક્સમાં છૂટથી ઉદ્યોગપતિઓને ઘણો ફાયદો થાય. વર્ષ 2019માં ભારત સરકારે કોર્પોરેટ ટેક્સમાં મુક્તિ આપી હતી. જેના કારણે વર્ષ 2021માં ઉદ્યોગપતિઓને 1,03,285 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ લાભ દેશના 1.4 વર્ષના મનરેગા બજેટની બરાબર છે.