બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે કલમ 370 ની નાબૂદીને કારણે દેશની બદનામી થઈ છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રહાર
કલમ 370 ની નાબૂદીને કારણે દેશની બદનામી થઈ
રાજ્યનો દરજ્જો પરત લેવાની શું જરૂર હતી
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જ્યારે આ બેઠક અંગે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી, કાશ્મીરીઓની આઝાદી છીનવી લેવાઈ છે. જે રીતે વેક્સિન માટે દેશની બદનામી થઈ, તેવી જ રીતે આર્ટિકલ 370 હટાવવાથી પણ દેશની બદનામી થઈ છે.
મમતાનો સવાલ- શું PMએ કાશ્મીરની જનતાને બેઠકમાં બોલાવી?
મમતાએ કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના લોકોને બોલાવીને કાશ્મીર પર મીટિંગ કરી રહ્યાં છે. રાજ્યનો દરજ્જો પરત લેવાની શું જરૂર હતી. લોકોને પહેલાં આઝાદી આપો. તમે આઝાદી છીનવી લીધી છે. આ નિર્ણય દેશને કોઈ જ કામ ન આવ્યો અને બે વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈ ટૂરિસ્ટ પણ નથી જઈ શક્યા. દેશની ઘણી જ બદનામી થઈ છે.
જે અવાજ ઉઠાવે છે, ભાજપ તેને એન્ટી નેશનલ કહે છે
મમતાએ કહ્યું કે ભાજપ દરેકને એન્ટી નેશનલ કહે છે અને પોતાને જ નેશનલિસ્ટ ગણાવે છે. જે પણ અવાજ ઉઠાવવાનો પ્રયાસકરે છે, તેને એન્ટી નેશનલ અને ટેરરિસ્ટ જાહેર કરી દે છે. જે લોકો દેશના લોકોને એક વેક્સિન પણ નથી આપી શકતા, લાશ ગંગામાં વહાવી દેવામાં આવે છે, તેમનો રેકોર્ડ પણ ભૂંસી નાખે છે, તેઓ આટલી મોટી-મોટી વાતો કઈ રીતે કરી લે છે?
PMના નિવાસસ્થાને 14 પક્ષના નેતાઓની બેઠક
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યાને લગભગ 2 વર્ષ પછી વડાપ્રધાન મોદી ગુરૂવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે એક મીટિંગ કરી રહ્યાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત ગુપકાર એલાયન્સના મોટા નેતાઓ હાજર છે. તેમના સિવાય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ પણ બેઠકમાં ઉપસ્થિત છે.