સુરતમાં દેશનો સૌ પ્રથમ થ્રી લેયર બ્રિજ મુકાયો ખુલ્લો, બ્રિજ સીટી સુરતમાં વધુ એક બ્રિજને કારણે ટ્રાફિકની સમસ્યા બનશે હળવી
સુરતમાં ટ્રાફિકની સમસ્યા બનશે હળવી
દેશનો સૌપ્રથમ થ્રી લેયર બ્રિજ બન્યો સુરતમાં
133.50 કરોડના ખર્ચે બન્યો છે આ બ્રિજ
બ્રિજ સિટીના હુલામણા નામથી ઓળખાતા સુરત શહેરની શાનમાં વધારો થયો છે. કારણ કે દેશમાં સૌ પ્રથમ વાર સુરતમાં થ્રી લેયર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત-મુંબઇ વેસ્ટર્ન રેલવે લાઇન પર સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
આ બ્રિજ સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ તરીકે ઓળખાય છે. જે શરૂ કરાતા સુરતના 15 લાખ લોકોને ફાયદો થશે.
133.50 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ છે. આ બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.. આ થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે.
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પરથી થઇને સુરત-કડોદરા રોડ તરફ રેલવે ક્રોસિંગ પાર કરીને જઇ શકાય છે.
2.5 કિમી લાંબો છે બ્રિજ
સુરતનો પહેલો એવો બ્રિજ છે જે સૌથી ઊંચો છે. આ બ્રિજની લંબાઇ 2.5 કિલોમીટર લાંબી છે. મહાનગરપાલિકા (SMC) દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન (Surat-Mumbai Western Railway) ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી(Surat-Bardoli) રોડ પર કરણીમાતા જંકશન (Karnimata Junction) પર અંદાજિત રૂપિયા 133.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
19જૂને કરવામાં આવ્યુ લોકાર્પણ
ઉલ્લેખનીય છે કે સુરતમાં અંદાજિત સવા સો જેટલાં ફ્લાયઓવર ઓવરબ્રિજ/ફ્લાય આવેલા છે. જેમાં એક કેબલ સ્ટેઈડ બ્રિજ પણ આવેલો છે.19 જૂનના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે થ્રી લેયર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો.