ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જાણે કે માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. કારણ કે એકતરફ બોટાદના લઠ્ઠાકાંડમાં 28 લોકો મોતને ભેટ્યાં છે અને કેટલાંક લોકો હજુ સારવાર હેઠળ છે. એવામાં રાજ્યમાં વધુ એક જગ્યાએ ખુલ્લેઆમ દારૂનો કારોબાર ચાલતો હોવાની ઘટના સામે આવી છે.
થોરળા પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી
રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના થોરળા પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એકતરફ સરકાર દારૂબંધીના મોટા દાવા કરી રહી છે તો બીજી બાજુ રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમતી દારૂની ભઠ્ઠી આખરે કોની રહેમનજર હેઠળ ધમધમી રહી છે તેને લઇને મોટો સવાલ ઉભો થાય છે.
અમે રાત્રિના 1 વાગ્યે પણ અહીં દરોડા પાડીએ છીએ: PI
શું પોલીસની રહેમનજર હેઠળ રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. આ અંગે થોરળા પોલીસ સ્ટેશનના PIનું તો એમ કહેવું છે કે, 'અમે રાત્રિના 1 વાગ્યે પણ અહીં દરોડા પાડતા હોઇએ છીએ.' તો પછી કેમ વારંવાર આ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે. PIનું કહેવું છે કે, 'અમે અહીં નાઇટ દરમ્યાન રાતના 1 વાગ્યે પણ આવીએ છીએ અને એક વાગે પણ અમે આ જ વિસ્તારમાં લોકોને પકડેલા છે.' તો પછી પોલીસ કેમ આ દારૂની ભઠ્ઠીઓ બંધ નથી કરાવતી. રાજકોટ પોલીસ ત્યાં પહોંચે પણ છે અને આ દારૂની ભઠ્ઠીઓ બંધ પણ કરાવવામાં આવે છે તેમ છતાં ફરી એજ જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ શરૂ થઇ જાય છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે કેમ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. બેરોકટોક થોરળા પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે.
આખરે કોણ બુટલેગરોને છાવરી રહ્યું છે?
બોટાદમાં એકતરફ લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. જેમાં 25થી વધુ લોકોના મોત થયા છે તેમ છતાં હજુ કેમ બુટલેગરોને છાવરવામાં આવી રહ્યાં છે? આખરે કોણ બુટલેગરોને છાવરી રહ્યું છે? પોલીસ સ્ટેશનની પાછળ દારૂની ભઠ્ઠી કોની રહેમ રાહે? આખરે પોલીસ કેમ દારૂની ભઠ્ઠીઓ બંધ નથી કરાવતી? ઝેરી દારૂ પીધા પછી જો મૃત્યુ થશે તો જવાબદાર કોણ? શું ગાંધી છાપના જોરે ચાલે છે દેશી દારૂની ભઠ્ઠીઓ? ભઠ્ઠીઓ બંધ કરાવવા તંત્રને કેમ રસ નથી? શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે? જેવાં અનેક સવાલો અહીં ઉભા થાય છે.