વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ શાખામાં ભ્રષ્ટ્રાચારના ભોરિંગે ભરડો લીધો છે. એક પણ ફાઈલ વજન મુક્યા વગર આગળ ચાલતી નથી તેવી અનેકવાર ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે હવે ભ્રષ્ટ અધિકારીઓ પર તવાઈ લાવવાનું આયોજન ઘડાઈ ગયુ છે. તો શું છે આ યોજના કોણે લીધો છે આ નિર્ણય?
દેશમાં ભ્રષ્ટ્રાચારનું પ્રમાણ વધી રહ્યું છે અને દેશનો દરેક નાગરિક તેનો ભોગ પણ બની રહ્યો છે તે વાત સામાન્ય બની ગઈ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાનાં ટાઉન પ્લાનિંગ અને બાંધકામ શાખામાં પણ આજ હાલત છે. ભ્રષ્ટ અધિકારીઓ મહિનાઓ સુધી ફાઇલો દબાવી રાખતા હતાં. જેનાં કારણે અનેક ફાઇલોનો ભરાવો થતો હતો. લાંચ આપ્યા સિવાય લોકોનાં કામો જ થતા ના હતાં.
સામાન્ય લોકો દ્વારા અનેક વાર ઉચ્ચ અધિકારીઓ સામે આ મુશ્કેલીની રજૂઆત થઈ હતી. પરંતુ જ્યારે હવે આ પ્રકારના ભ્રષ્ટાચારની રજૂઆત ક્રેડાઈ અને આર્કિટેક્ચર ઍસોશિયેશન દ્વારા થઈ તો વડોદરા કમિશ્નર તંત્ર સતર્ક થઈ ગયું.
વીએમસી કમિશનર અજય ભાદુએ ઐતિહાસિક નિર્ણય કરીને ટાઉન પ્લાનિંગ તેમજ બાંધકામ શાખામાં આવતી ફાઇલોનાં નિકાલની સમય મર્યાદા નક્કી કરી આપી છે. ફાઈલોનાં નિકાલની આ સમયમર્યાદા 5થી 15 દિવસ નક્કી કરવામાં આવી છે અને તે માટે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાનાં દરેક વિભાગોમાંથી ભ્રષ્ટાચાર માટે સૌથી પંકાયેલો હોય થો તે છે ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગ. અહીંથી ફાઇલો આગળ ધપાવવા માટે અધિકારીઓ લાંચનો સહારો લેતા રહ્યાં છે તેવા આક્ષેપો અનેક વાર ઉઠ્યાં છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરે કોઈ અધિકારી બિન જરૂરી ફાઇલને અટકાવી ના રાખે અને અરજદારને મુશ્કેલી ના પડે તે માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.